જમ્મુ -કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો પરત લીધો હોવાથી કેન્દ્રના નિર્ણય સામે સીપીઆઈ (એમ) ના વરિષ્ઠ નેતા મોહમ્મદ યુસુફ તારિગામીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે . સીપીઆઈ (એમ) ના નેતાએ શુક્રવારે કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને કોર્ટને વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરી છે. તારીગામીએ પોતાની અરજીમાં 5 ઓગસ્ટ, 2019 ના કેન્દ્ર સરકારના આદેશોને બેજવાબદાર ગણાવ્યા છે, જે અંતર્ગત જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે એક સીમાંકન પંચની રચના કરી છે જેથી તે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની સીમાઓને નકકી કરી શકે. જમ્મુ અને કાશ્મીર વિકાસ અધિનિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંતર્ગત કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ, ભલે તે અહીં કાયમી નિવાસી ન હોય, પણ અહીં ખેતીલાયક જમીન સિવાય અન્ય જમીન ખરીદી શકે છે. આ સિવાય જમ્મુ અને કાશ્મીર રાજ્ય મહિલા આયોગ, જમ્મુ અને કાશ્મીર રાજ્ય જવાબદારી પંચ, જમ્મુ અને કાશ્મીર ગ્રાહક સુરક્ષા આયોગ અને જમ્મુ અને કાશ્મીર માનવ અધિકાર આયોગને નાબૂદ કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારના આ નિર્ણયોનો ઉલ્લેખ કરતા અરજદારે કહ્યું છે કે આ તમામ નિર્ણયો ગેરબંધારણીય છે. સીપીઆઈ (એમ) ના નેતાએ કોર્ટને આ મામલે વહેલી તકે સુનાવણી કરવા વિનંતી કરી છે કે, જો આ મામલાની જલ્દી સુનાવણી ન થાય તો અરજદારને અન્યાય થશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ -કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી તારિગામી કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. તારિગામીએ અગાઉ કહ્યું હતું કે ભારતના બંધારણમાં અમારા માટે જે અધિકારો નક્કી કરવામાં આવ્યા છે તે કેન્દ્ર સરકારે છીનવી લીધા છે.