દેશમાં કોરોનાના કહેર વચ્ચે ક્યાંકને ક્યાંક ચૂંટણીઓ પણ પેરેલલ યોજાતી રહે છે. અને તેના પરિણામો પણ આ તણાવગ્રસ્ત વાતાવરણ વચ્ચે આશ્ચર્યજનક આવી રહ્યા છે. જેમાં હૈદરાબાદ બાદ ખાસ તો હવે જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદના પરિણામોએ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કેમ કે, જમ્મુ-કાશ્મીર તે હંમેશાથી એક સળગતું રાજ્ય રહ્યું છે. અહીંના સીમાડાઓ હંમેશા આતંકવાદીઓનું પ્રવેશદ્વાર રહ્યા છે. અને વળી પાકિસ્તાનની ભારત તરફની દુશ્મની પણ કાશ્મીર વિવાદને કારણે જ છે. અને તેમાં પણ 370- દૂર કરાયા બાદ વૈશ્વિક દ્રષ્ટિકોણથી જમું-કાશ્મીરની ચૂંટણીઓ એક આગવું મહત્વ ધરાવે છે.
તેથી જ 51 % મતદાન સાથે સંપન્ન થયેલ ડીડીસી ચૂંટણી તે 370 ખતમ થયા બાદ આમ આસાનીથી અને કોરોના કહેર વચ્ચે પણ લોકોનો મતદાન પ્રત્યેનો ઉત્સાહે તે સાબિત કરી આપ્યું કે , લોકતંત્રમાં તેમની આસ્થા અભિપ્રેત થઇ છે. તેમજ પાકિસ્તાન વૈશ્વિક મંચ પર ગમે તે કહાનીઓ ઘડે પરંતુ મતદાન માટેની કતારે કાશ્મીરી અવામ સરકારના આ ફેંસલા સાથે છે તે પણ સાબિત કરી આપ્યું છે. ત્યારે આ મોદીજીની ચાણક્ય ચાલની પણ જીત છે. જો, કે ગુપાકર 112 સીટો જીતીને સૌથી મોટું ગઠબંધન જરૂર બન્યું છે , પરંતુ ભાજપે પણ પ્રથમ ગ્રાસે જ 75 સીટ હાંસલ કરી સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટીનું બિરુદ તો મેળવ્યું જ છે. અને વળી અહીં કોઈ પક્ષની હાર-જીત કરતા જે તંદુરસ્ત માહોલમાં ચૂંટણી સંપન્ન થઇ તે બાબત જ સમગ્ર ભારત માટે શાતાનો વિષય છે.
કેન્દ્રશાસિત રાજ્ય બન્યા બાદની આ પહેલી ચૂંટણી છે. અન્યથા હંમેશની જેમ ડીડીસી ચૂંટણીમાં પાકિસ્તાન સ્થિત આતંકી જૂથોએ ઘણી સાજીશો રચી પરંતુ જાંબાઝ ભારતીય સૈન્યે તેની દરેક ચાલને વિફળ બનાવી આઠ ચરણોમાં યોજાયેલ મતદાન ખુબ શાંતિપૂર્ણ રહ્યું. અને વધુમાં ડીડીસી ચૂંટણીમાં લોકોની ભાગીદારીએ આખી દુનિયાને તે બતાવી આપ્યું કે, અહીંના સ્થાનિક લોકોમાં લોકતાંત્રિક વ્યવસ્થામાં જોડાવવાનો જજબો છે, અને તેઓ રાષ્ટ્રની મુખ્યધારામાં જોડાવવા સજ્જ છે. તેથી જ આ ચૂંટણીઓ તે દરેક રાષ્ટ્ર માટે એક સંદેશ સમાન છે કે, જેઓ ધારા-370 હટાવવાંના વિરોધમાં સામેલ હતા કે ક્યાંક હજી પણ મંદ સ્વરમાં રાગ આલાપી રહ્યા છે.
જો,કે જેઓ આજે પણ ધારા -370 હટાયાના શોકમાંથી બહાર નથી નીકળી શક્યા તેવા ફારુખ અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા હજી પણ પાકિસ્તાની રાગ આલાપતા આ ચૂંટણીમાં ભાજપની હાર અને 370- હટાવવાં સામે લોકોનો રોષ ગણાવી રહ્યા છે. પરંતુ ભારતીય પ્રજા ફારુખની તે દેશદ્રોહી ચાલને નથી ભૂલ્યા કે, જયારે તેણે આ ધારા હટાવ્યા બાદ ભૂરાંટા થઈ 370 ફરી લાગુ કરવા ચીનની મદદ લેવાનું સરેઆમ બયાન કર્યું હતું. તો મહેબુબા તો આ મામલે સાવ છેલ્લી કક્ષાએ જઈને બકવાસ કરવા માટે જાણીતું વ્યક્તિત્વ છે. અને તેમછતાં આ બન્ને વચ્ચે સાપ અને નોળીયા જેવા સંબંધો હોવા છતા તેઓ સાથે મળીને ચૂંટણી લડ્યા છે. જે રાજનૈતિક કરતા વ્યક્તિલક્ષી મજબૂરી વધુ હતી. કેમ ,કે આ લોકોમાં રાષ્ટ્રવિરોધ ઠોંસી ઠાસીને ભર્યો છે અને આ જ તેમનો સ્વાભવ પણ છે.
અન્યથા જમ્મુ-કાશ્મીરના લોહિયાળ સંઘર્ષમાં સૌથી વધુ લોહી દેશના જવાનોનું વહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને લોકશાહી સ્થાપવા સુરક્ષબળોએ લગાતાર શહાદત નોતરી છે. હજુ હમણાં સુધી તે સમય હતો કે, જયારે સળગતા સીમાડા સાચવવા અને પ્રજાની રક્ષા કાજ આ જાંબાજ જવાનોની કફન માં વીંટળાયેલ લાશ રોજે રોજ તેમના ગામ સુધી પહોંચતી. આ જખ્મો ઘણા ઘેરા છે અને તેનું દર્દ ન કેવળ જવાનોના પરિવારોએ બલ્કે દેશના દરેક નાગરિકે પણ અનુભવ્યું છે.
જો કે, હવે આ કાળા કુકર્મોમાં ક્યાંક ભાગીદાર રહેલા હુરિયતના નાગો ની આખી કર્મકુંડળીઓ ખુલી ચુકી છે. અને આ અલગાવવાદીઓને મળી રહેલ આર્થિક પોષણનું નેટવર્ક પણ પર્દાફાશ થઇ ચૂક્યું છે. ઘાટીની અવામ પણ તેમના અસલી ચહેરાને જોઈ ચુકી છે. અને તેમને હવે તે બાબતોનો પણ ખ્યાલ આવી ચુક્યો છે કે, તેમને બહેકાવતા, સ્કૂલો સળગાવતા, સ્કૂલો બંધ કરાવતા આ તત્વોના બાળકો તો વિદેશી સ્કૂલોમાં ભણી રહ્યા છે. અને તેમના બાળકોના કુમળા હાથોમાં પથ્થર પકડાવી કોઈ ક્ષણે તેમને દેશદ્રોહી બનાવી દેનાર પણ આ જ તત્વો હતા.
અને આનાથી પણ આગળ તો જે કાશ્મીરી યુવાનોના હાથમાં બંધુક પકડાવી દેવામાં આવતી હતી તેમને પણ ક્યાંક થોડા નાણા કે ધર્મને નામે બહેકાવવામાં આવતા હતા. જો, કે આમાંના મોટાભાગના યુવાનો બંદૂક ઉઠાવતા હતા તેઓ જાન જ ગુમાવતા હતા. પરંતુ હવે આ ચક્રવ્યૂહ અને ભ્રમ લગભગ તૂટી ચુક્યો છે. બુરહાન વાની બનવાના સપના જોતા કાશ્મીરી યુવાનોને ખ્યાલ છે કે, બુરહાન તે કોઈ હીરો નહિ પણ એક ગદ્દાર હતો અને જે મોત ને લાયક હતો તે મોત તેને પ્રાપ્ત થયું છે. અને ઉપર પણ કોઈ જન્નત નથી. આ કેવળ પંપાળવાની વાતો જ હતી.કે જેની પોલ હવે ખુલી ચુકી છે.
વિશેષમાં અત્યાર સુધીના ઇતિહાસ મુજબ અહીં પીડીપી અને નેશનલ કોન્ફરન્સનું શાશન જ રહેતું હતું. આ બંને દળોએ પારિવારિક રાજનીતિને જ પ્રોત્સાહન આપી કાશ્મીરને બાપની જાગીર બનાવી રાખ્યું હતું. રોશની એક્ટની આડમાં કરોડોની સરકારી જમીન કોડીયોના દામમાં કબ્જે કરી લીધી છે. આ નેતાઓએ દેશ-વિદેશમાં કરોડોની સંપત્તિઓ વસાવી છે. તેમજ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ સંઘમાં નાણાકીય ગેરરીતિઓ જોતા પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા ની 70 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ત્યારે કહેવાનો આશય છે કે, જમ્મુ-કાશ્મીરનો ઇતિહાસ કાશ્મીરી પંડિતોના દર્દથી લઇ કાશ્મીર યુવાનોની પથ્થરબાજી અને બંદૂકબાજી તેમજ વંશપરંપરાગત સત્તા હસ્તાંતરણથી જવાનોના લોહીથી ખરડાયેલા પડ્યો છે. મુઠ્ઠીભર તત્વોએ સમગ્ર ઘાટીને બાનમાં લીધું હતું..પરંતુ હવે જમ્મુ-કાશ્મીરની વાદીઓ માં લોકશાહીના પગરવ સંભળાઈ રહ્યો છે. કોઈપણ પક્ષ જીતે પરંતુ લોકશાહી અકબંદ રહે, તે ભારતનો ભ્રૂભાગ રહે, ભારતની શાન અને બાન રહે…તે જ દરેક દેશવાસીની ચાહ હોય ..અત્યાર સુધી કેન્દ સરકારોએ ઘણું બધું ધન કાશ્મીરીઓના દિલ જીતવા આ દેશવાસીઓના હિસ્સાનું તેમને આપ્યું છે કે, જેનો કોઈ હિસાબ નથી…નથી ત્યારે દેશવાસીઓ માં પણ આ ચૂંટણીઓ બાદ એક વિશ્વાસ જાગ્યો છે કે, ભારતના અન્ય ભૂ-ભાગની જેમ કાશ્મીર પણ દેશનો એક હિસ્સો હવે સાચા અર્થમાં બન્યો છે…હવે સૈન્યોના જવાનોની કોઈ લાશ સરહદેથી નહીં આવે તેવી આશા રાખી શકાય..
@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…