દિલ્હીના પશ્ચિમપુરી વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકે મંદિરમાં રાખેલી મૂર્તિઓને એટલા માટે નિશાન બનાવી કારણ કે લૉકડાઉન દરમિયાન તેમનું કામ બંધ થઇ ગયું હતું અને તે આર્થિક રીતે તમામ પડકારોનો સામનો કરી રહ્યા હતા. પોલીસ અનુસાર આજે સવારે અંદાજે 9 વાગે પશ્ચિમપુરીના માતા વૈષ્ણોદેવી મંદિરના પુજારી રામ પાઠક મંદિર આવ્યા તો તેમણે જોયું કે મંદિરના ખુલ્લા ભાગમાં રાખવામાં આવેલી ભગવાન શિવની બે મૂર્તિઓ પોતાની જગ્યા પર નહોતી. આ ઉપરાંત, કેટલીક અન્ય મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત માલૂમ પડી હતી. મંદિરના પ્રાંગણમાં ઇંટ અને પથ્થર વિખેરાયેલા હતા. પુજારીએ આની જાણકારી પોલીસને આપી. રામ પાઠકના અનુસાર રાતમાં જ્યારે તે મંદિરની બહાર નીકળતા હતા ત્યાં સુધી બધી ચીજો વ્યવસ્થિત હતી.
પુજારીની ફરિયાદ પર પોલીસે આ મામલે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું કે 28 વર્ષના વિક્કીનો આ ઘટનામાં હાથ છે. પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરી તો આરોપીએ જણાવ્યું કે લૉકડાઉન પહેલા તેનો ભંગારનો ધંધો હતો જે બંધ થઇ ગયો હતો. ત્યારે તેણે ભગવાનને કહ્યું હતું કે તે મને ભિખારી બનાવી દિધો જેનો બદલો હું જરુર લઇશ. એટલા માટે મેં મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યુ.
કોવિડની પરિસ્થિતિ નિયંત્રણ કરવા માટે સરકારે અંદાજે બે મહિના સુધી દેશમાં પૂર્ણ લોકડાઉન લગાવ્યું હતું. જેની સૌથી વધુ અસર દરરોજનું કમાતા શ્રમિકો પર પડી. લૉકડાઉન દરમિયાન લાખો શ્રમિકોએ સેંકડો કિલોમીટરની પગપાળા સફર પૂર્ણ કરી પોતાના ગામો તરફ પાછા ફર્યા. હજારો લોકો રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા હતા. ફરી એકવાર પરિસ્થિતિ અનિયંત્રિત થઇ રહી છે. એવામાં દરરોજનું કમાતા શ્રમિકોના માથે ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાવા લાગી છે.