કોરોનાએ અનેક કાળક્રમ બદલી નાખ્યા હોવાનું નોંધવામાં આવ્યું. કોરોનાનાં કપરાકાળમાં દવાખાના ખુલ્લા રહ્યા અને મંદિરો બંધ રહ્યા. લગભગ એક વર્ષ(થોડા મહિના બાકી છે) જેટલા લાંબા સમયથી અનેક મંદિરોમાં અનેક વિવિધ કાર્યક્રમો અને દર્શનનાં સમય પત્રકો બદલ્યા અને અનેક મંદિરો તો સંપૂર્ણ બંઘ પણ રહ્યા. પરંતુ ગુજરાતનાં પ્રભુ પ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ હવે ગુજરાતમાં કોરોના સંક્રમણ મહદ અંશે કાબૂમાં નોંધવામાં આવી રહ્યું હોવાનાં કારણે ભક્તોને દેવાધી દેવ મહાદેવ અને ભગવાન સ્વામી નારાયણની કૃપા પ્રાપ્ત થઇ રહી હોય તેવુ લાગી રહ્યું છે.
12 જ્યોતિર્લીંગો માં નું પ્રથમ એવુ સૌરાષ્ટ્ર સોમનાથમ્ ચ: એટલે કે સોમનાથ મંદિરમાં આજથી 3 આરતીમાં ભક્તોને પ્રવેશ કરવા દેવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવતા હરીભક્તોમાં આનંદ ફરી વળ્યો છે. કોરોના સંક્રમણ ઘટતા તંત્ર અને મંદિર મેનેજમેન્ટ દ્વારા લાખો ભક્તોને અસર કરતો આ મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સોમનાથ મહાદેવની ત્રણેય આરતીમાં શ્રદ્ધાળુઓને હવેથી પ્રવેશ અપાશે. આપને જણાવી દઇએ કે, સોમનાથ મહાદેવ મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યે આરતી કરવામાં આવે છે અને આ તમામ ત્રણ આરતીમાં પ્રશાસન દ્વારા ભક્તોને પ્રવેશની મંજૂરી આપી દેવામાં આવી છે.
સાથે સાથે ગુજરાતનાં હરિભક્તોનાં આનંદનો પણ પાર નથી રહ્યો જ્યારે જાણવા મળ્યું કે આજથી એટલે કે શનિવારથી ગાંધીનગર ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરમાં આજથી દર્શનાર્થીઓ તમામ પ્રદર્શનો નિહાળી શકશે. વિવિધ લાઇટ એન્ડ શો, અને રાઈડ્સ પણ શરૂ કરાશે. આપને જણાવી દઇએ કે, સચ્ચિદાનંદ વોટર શો 6.45 કલાકે નિહાળી શકાશે. કોરોનાને લઈ 11 મહિનાથી બંધ હતા તે તમામ પ્રદર્શનો આજથી નિહાળી શકાશે. તમામ પ્રદર્શન સવારે 11થી રાત્રિના 7.30 સુધી ખુલ્લું રહેશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…