જેની ગંભીર બીમારી અને માસૂમિયત પર સમગ્ર ગુજરાતમાં બહોળા પ્રમાણમાં ઝુંબેશ ચલાવવામાં આવ્યા બાદ લોકોએ મોકળા મને દાન આપ્યું હતું તે મહીસાગર જિલ્લાના કાનેસર ગામનો માત્ર 3 મહિનાનો માસૂમ બાળક ધૈર્યરાજસિંહ ગંભીર જિનેટીક બિમારીથી પીડાઈ રહ્યો હતો.મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં ત્રણ માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો, જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન લાવવાની જરૂર હતી. આ બાળકને નવજીવન મળે તે માટે મંતવ્ય ન્યુઝનાં માધ્યમથી અપીલ કરવામા આવી હતી. 16 કરોડ 3 લાખ એકઠાં થયા છે. જેથી હવે ધૈર્યરાજને અમેરિકાથી મંગાવવામાં આવેલું Zoalgensama નામનું ઈન્જેક્શન આપવામાં આવ્યું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે ધૈર્યરાજને એડમીટ કરવામાં આવ્યો હતો. આજે મુંબઈ ખાતેની હોસ્પિટલમાં 16 કરોડનું ઈન્જેકશન લગાવવામાં આવ્યું હોય મંતવ્યન્યુઝની ઝુંબેશ રંગ લાવી છે. હવે ધૈર્યરાજની તબિયત હાલમાં સ્થિર છે તેમજ બહુ જલદીથી તે સામાન્યજીવન જીવતો થઈ જશે.પોતાના લાડકવાયાને નવજીવન આપવામાં મદદરૂપ થનાર સૌ કોઈનો ધૈર્યરાજના માતા-પિતાએ આભાર માન્યો છે.
વાત હોય શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર, ઈશ્વર હોવાની પ્રતીતિ કરાવતા ભામાશાઓ
દેશની જનતાની દુવાઓ કામ કરી ગઈ છે,આ ઘટનાની જાણ થયા બાદ સમગ્ર ગુજરાતીઓ ઘરે ઘરે તે સાજો થાય તે માટે પ્રાર્થના કરી હતી.સમગ્ર ગુજરાત વાસીઓના કાળજાના કટકા બનેલા આ લાડકવાયા ધૈર્યરાજને લઇને ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી દાન સ્વરૂપે માતબર રકમ મળી રહે તે હેતુથી ઘણા દિવસ પહેલા મુહિમ ઉઠાવી અને સતત અહેવાલ પ્રસારિત કર્યા હતા. જેને લઇને ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી ભામાશાઓ દ્વારા દાન સ્વરૂપે બાળકના ખાતામાં ઓનલાઇન 16.3 કરોડની માતબર રકમ આવી હતી.અને એક સમયે અશક્ય લાગતી બાબત જાણે શક્ય બની ચૂકી છે.અત્યારે ભલે કોરોના મહામારી ચાલી રહી હોય પરંતુ ધૈર્યરાજને નવજીવન આપવા માટે જે રીતે બહોળા પ્રમાણમાં મારફત એકત્રિત થયું તે જોતા હજુ પણ ઇશ્વરની હાજરી હોવાની પ્રતીતિ ચોક્કસ થાય છે.
રાજદીપસિંહ રાઠોડના પુત્ર ધૈર્યરાજની ઉંમર માત્ર 3 મહિનાની છે. બાળક તંદુરસ્ત છે, પરંતુ જન્મના દોઢ મહિનામાં શારીરિક પરિવર્તન જોતા દુર્લભ બીમારીના લક્ષણો જાણવા મળ્યા. ધૈર્યરાજ સિંહને સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી (એસએમએ)નામની એક દુર્લભ બીમારી છે. આ બીમારીની ભારતમાં સારવાર શક્ય નથી અને તેની સારવાર માટે જરૂરી ઈન્જેક્શન વિદેશથી મંગાવવું પડ્યું છે. જેની કિંમત 16 કરોડ રૂપિયાં છે. આટલું જ નહીં, તેના પર લગભગ 6 કરોડ રૂપિયાનો ટેક્સ પણ લાગે છે. જેને સરકાર દ્વારા માફ કરવામાં આવ્યો હતો,આમ તેની કિંમત 22 કરોડ રૂપિયા થઈ છે.
જો કે મધ્યમવર્ગીય પરિવારના આ બાળક માટે ગુજરાત સહિત દેશ – વિદેશમાંથી મદદના હાથ ઉઠવા લાગ્યાં હતા.રાજદીપસિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ‘ઈમ્પેક્ટ ગુરુ’ નામની એનજીઓમાં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરી હતી. અને પૂરતું ફંડ એકઠુ થયું હતું. આજે અમેરિકાથી આવેલું ઈન્જેક્શન ધૈર્યરાજને આપવામાં આવ્યું છે.