Gujarat News : ગુજરાત (Gujarat)માં ડીઝલની અછત (Diesel Crisis) અને વધતા ભાવોના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય ગંભીર સંકટમાં મુકાયો છે. રાજ્યના અંદાજે 30 ટકા ટ્રકો ડીઝલ વગર રસ્તા પાર ઉભા રહેવાની સ્થિતિ સર્જાઈ છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે પૂરતું ડીઝલ ન મળતા માલસામાન સમયસર ગંતવ્ય સુધી પહોંચાડી શકાયો નથી, જેના કારણે વેપાર અને સપ્લાય ચેઇન પર સીધી અસર પડી રહી છે.
ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો મુજબ હાલ ડીઝલના વધતા ખર્ચે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની ગયો છે. ટ્રક ચાલકો અને માલિકોનું કહેવું છે કે એક ટ્રકને માત્ર 20 લીટર જેટલું ડીઝલ મળવાથી લાંબા રૂટ પર વાહન ચલાવવું શક્ય નથી. પરિણામે અનેક ટ્રકો પાર્કિંગમાં ઉભા રાખવા પડી રહ્યા છે.

ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જો ગ્રાહકો પાસે ભાડામાં વધારો માંગવામાં આવે તો માલસામાનના ખર્ચમાં વધારો થવાને કારણે વેપારીઓ નારાજ થાય છે, અને જો ભાવ વધારો ન કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટરોને નુકસાન સહન કરવું પડે છે. હાલની સ્થિતિમાં ડ્રાયવરના પગાર, બેંકના હપ્તા, ઓફિસ ભાડાં અને અન્ય ખર્ચા કાઢવા પણ મુશ્કેલ બન્યા છે.
ડીઝલની અછત (Diesel Crisis)ના કારણે મોંઘવારી વધવાની પણ શક્યતા
ડીઝલની અછત (Diesel Crisis) ના કારણે આગામી દિવસોમાં બજારમાં મોંઘવારી વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે માલસામાનની અવરજવર પ્રભાવિત થવાથી રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓના ભાવ પર અસર પડી શકે છે.
અમદાવાદના લગભગ 3500 ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટરોએ પોતાની માંગણીઓ અને સમસ્યાઓ અંગે અગ્ર સચિવને લેખિતમાં રજૂઆત કરી છે. ટ્રાન્સપોર્ટરો સરકારે તાત્કાલિક ડીઝલ પુરવઠો સુચારૂ બનાવવાની માંગ કરી છે, જેથી પરિવહન વ્યવસ્થા ફરી સામાન્ય બની શકે.
