સનાતન ધર્મમાં તુલસી (Tulsi )ના છોડને માત્ર વનસ્પતિ નહીં, પણ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ભગવાન નારાયણને અત્યંત પ્રિય એવો આ છોડ ઘરમાં સુખ, શાંતિ અને ધન-ધાન્ય લાવનારો માનવામાં આવે છે. જે આંગણામાં નિયમિત તુલસીની પૂજા થાય છે અને ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેતો રહે છે.
પરંતુ, વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ, તુલસીનો પૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને સાચી દિશા અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે. જો અજાણતામાં પણ તેને ખોટા સ્થાને મૂકી દેવામાં આવે, તો તેનાથી ઘરમાં વાસ્તુદોષ ઊભો થાય છે. ચાલો જાણીએ ઘરની એવી 7 જગ્યાઓ વિશે જ્યાં તુલસીનો છોડ ક્યારેય ન રાખવો જોઈએ.
1.દક્ષિણ દિશા (યમનું સ્થાન):
વાસ્તુ નિયમો અનુસાર, ઘરની દક્ષિણ દિશા પિતૃઓ અને યમરાજ સાથે સંબંધ ધરાવે છે. આ દિશામાં રાખેલી તુલસી નકારાત્મકતા વધારે છે અને છોડ સુકાઈ જવાની સંભાવના રહે છે. તુલસી માટે પૂર્વ કે ઉત્તર દિશા જ ઉત્તમ છે.
૨. બેડરૂમ અથવા શયનકક્ષ:
બેડરૂમ એ અંગત જીવન અને આરામ માટેની જગ્યા છે, જ્યારે તુલસી પરમ પવિત્ર અને પૂજનીય છે. પારિવારિક શાંતિ જાળવી રાખવા અને વાસ્તુ દોષથી બચવા માટે તુલસીને ક્યારેય બેડરૂમની બાલ્કની કે અંદર ન રાખવી જોઈએ.
૩. બાથરૂમ કે શૌચાલયની આસપાસ:
અશુદ્ધ અને અપવિત્ર જગ્યાઓ જેમ કે વોશરૂમ કે શૌચાલયની દીવાલની નજીક તુલસીનો કુંડો ક્યારેય ન મૂકવો જોઈએ. તેનાથી છોડની પવિત્રતા લુપ્ત થાય છે અને ઘરમાં આર્થિક તંગી આવી શકે છે.
૪. સૂર્યપ્રકાશ વિનાનો અંધારો ખૂણો:
તુલસીને કુદરતી હવા અને પૂરતો તડકો મળવો અનિવાર્ય છે. ઘરની અંદરના એવા બંધ રૂમ કે અંધારા ખૂણા જ્યાં સૂર્યનારાયણના કિરણો ન પહોંચતા હોય, ત્યાં તુલસી રાખવાથી તે કરમાઈ જાય છે, જે અશુભ ગણાય છે.
૫. રસોડાના ગેસ સિલિન્ડર કે ચૂલા પાસે:
રસોડું ભલે પવિત્ર હોય, પણ ગેસના ચૂલાની એકદમ નજીક તુલસી ન રાખવી જોઈએ. અગ્નિની ગરમી અને ધુમાડાના કારણે છોડ બગડી શકે છે અને વાસ્તુ અનુસાર અગ્નિ તત્વની બહુ નજીક આ પવિત્ર છોડ રાખવો અનુકૂળ નથી.
૬. ડસ્ટબિન કે કચરાપેટીની નજીક:
જ્યાં ઘરનો કચરો ભેગો થતો હોય અથવા જૂનો ભંગાર પડ્યો હોય, તેવી ગંદી જગ્યાઓની આસપાસ ભૂલથી પણ તુલસી ન મૂકો. તુલસીની આસપાસ હંમેશા એકદમ સ્વચ્છતા હોવી જરૂરી છે.
૭. સીડીઓની નીચેની જગ્યા:
ઘણા લોકો સીડીની નીચે ખાલી જગ્યા જોઈને ત્યાં છોડ મૂકી દે છે. સીડીની નીચે ભારેપણું અને રાહુનો પ્રભાવ હોય છે, વળી તેની ઉપરથી લોકો સતત અવરજવર કરે છે. તેથી આવી દબાણવાળી જગ્યાએ તુલસી ક્યારેય ન વાવવી.
તુલસી માટે સૌથી બેસ્ટ દિશા કઈ?
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરની ઉત્તર, પૂર્વ અથવા ઈશાન (ઉત્તર-પૂર્વ) દિશા તુલસી સ્થાપન માટે સર્વોત્તમ છે. આ દિશાઓમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. રોજ સવારે છોડને જળ ચડાવવું અને સાંજે દીવો કરવો એ ઘરના કલ્યાણ માટે શ્રેષ્ઠ પરંપરા છે.
