છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ જીલ્લામાં લમ્પી વાઇરસે દેખા દીધી છે. જેના પરિણામે અનેક જિલ્લામાં મોટી સંખ્યામાં ગાયોના મોત થયા છે. હવે કચ્છ જિલ્લામાં પશુધનમાં મોટા પ્રમાણમાં જોવામાં લમ્પી રોગ જોવા મળ્યો છે. અને અનેક ગાયોના મોત થયા છે. જીલ્લામાં જ્યાં નજર પડે ત્યાં મૃત ગાયોના મૃતદેહ નજરે ચઢે છે.
મુન્દ્રા તાલુકા ના ભુજપર કારાઘોઘા, સમાઘોઘા સહીત મુન્દ્રા શહેર માં આવેલી કેવડી નદીમાં ઠેર ઠેર ગાયો ના મૃતદેહો જોવા મળી રહ્યા છે. ત્યારે મૃતદેહો ની પદ્ધતિસર અંતિમ સંસ્કાર કરવામાં આવે એવી લોકો લાગણી પણ ઉઠવા પામી છે. 100 કરતા વધુ મૃતદેહો ખેતરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર પણ સાબદું બન્યું છે. અને ઘણી જગ્યાએ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તો અનેક જગ્યા એ લમ્પી વાઇરસ થી મૃત ગાયોના મૃતદેહ સડી રહ્યા છે.
લમ્પી વાયરસ ના કારણે અત્યાર સુધી સેંકડો ગાયો મૃત્યુ પામી છે ત્યારે આ વાયરસની વધારેમાં વધારે રસી આપવામાં આવે એવી લોક લાગણી પણ જોવા મળી રહી છે લમ્પીવાયરસ ની સારવાર એન્કરવાલા અહિંસાધામ ખાતે પણ કરવામાં આવે છે.
બનાવને પગલે મુન્દ્રાના જીવદયાપ્રેમીઓએ પણ ગૌધનના હિતમાં બેઠક બોલાવી નગરમાં સેવાકીય પગલાં ભરવાનું આયોજન ઘડી કાઢ્યું છે. અગાઉ લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં 2000થી વધુ ગાયોના મોત થઇ ચૂક્યા છે.
લમ્પી વાયરસની અસરની વાત કરવામાં આવે તો પશુઓમાં સૌથી વધારે ગાયને આ રોગ થાય છે. ત્યારે લમ્પી વાયરસની અસરમાં શરૂઆતમાં તાવ આવે છે અને ત્યારબાદ પશુઓના શરીરમાં અછબડા જેવી અસરો જોવા મળે છે. જ્યારે આ વાયરસથી પશુઓના શરીર પર આવેલ ચામડીને પણ નુકસાન થાય છે. પશુઓની ચામડી હંમેશા માટે ફાટી પણ જાય છે.
આ વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમાં પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ રાખવા જોઇએ. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરી અટકાવી શકાય છે.