અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન આયોજિત વડોદરાની રેલીને લઈને વડોદરામાં ભાજપા સમર્થક આયોજીત ગરબાના બેનર પર ‘આપ’ના બેનર લગાવતા આયોજકો અને આપ કાર્યકર્તાઓ વચ્ચે કહાસુની થઈ હતી. ત્યારે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.
અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરામાં તેઓ ભગવંત માન સાથે રેલી કરવાના છે. આ દરમિયાન આજે સવારે (શનિવારે) વડોદરાના અલગ અલગ વિસ્તારમાં અરવિંદ કેજરીવાલના ફોટા સાથે આમ આદમી પાર્ટીના વિરોધના બેનર લાગ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ બેનર હટાવ્યા હતા. બાદમાં રેલી શરુ કરવાના સ્થળ ભગતસિંહ ચોક પાસેના કેટલાક ગરબા આયોજકોના બેનરો ઉપર આમ આદમી પાર્ટીના બેનર લગાવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળ્યો હતો. ગરબા બેનર ઉપર ‘આપ’ના બેનર લગાવતા ભગતસિંહ ચોક પાસેના કેટલાક સ્થાનિકો દ્વારા આમ આદમી પાર્ટીની આ કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇને આમ આદમી પાર્ટી અને આ સ્થાનિક ગરબા આયોજકો એવા મોદી સમર્થકો વચ્ચે ચડભડ થતા મામલો બિચક્યો હતો. બંને જૂથના લોકો સામસામે આવતા નારેબાજી પણ કરી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન સ્વેજલ વ્યાસે આ સમગ્ર મામલે ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
ત્યારે બીજી તરફ ભાજપના આગેવાન અને કાઉન્સિલર નીતિન પટેલ દ્વારા આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે નહીં, પરંતુ સ્થાનિક ગરબા આયોજક તરીકે તેમના પોસ્ટર ઉપર આમ આદમી પાર્ટીના બેનર લાગતા તેમણે વિરોધ કર્યા હોવાનું કહ્યું હતું.
સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વડોદરા રાવપુરા અને નવાપુરા પોલીસના કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ બિલકુલ કાબુમાં છે.