Gir Somnath News : જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિવિધ વિવિધ પુલો, કાંસ, વોકળા અને નહેરો વગેરેની મુલાકાત લીધી હતી.જિલ્લા કલેકટર એ જિલ્લાના વિવિધ પુલની મુલાકાત લઈને પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતની ચકાસણી કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.જિલ્લા કલેકટરએ જિલ્લામાં આવેલાં વિવિધ કાંસ, વોકળા અને નહેરોની ચોમાસા દરમિયાન જરૂરી સફાઈ થાય અને શહેરમાં ભરાતું પાણી ત્વરિત વહી જાય તે માટે તકેદારીના પગલા ઉઠાવવા માટે જરૂરી માર્ગદર્શન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને આપ્યું હતું.
જિલ્લાના વિવિધ રોડ પર આવેલા ૨૭ મોટા પુલ અને ૧૦૪ નાના પુલ મળી કુલ ૧૩૧ પુલોની ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરી સમારકામ માટેની સૂચનાઓ અને જર્જરિત પૂલોની જગ્યાએ નવા પૂલોનું નિર્માણ થાય એ માટેની જરૂરી સૂચનાઓ માર્ગ-મકાન અને રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓને આપી હતી.
વેરાવળના બંદર વિસ્તાર, હિરણ પુલ, ઉનાના મચ્છુન્દ્રી પુલ પરથી પસાર થવા માટે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. આ પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીને ધ્યાનમાં લેતાં ભારે વાહનો પસાર થવા પર કલેક્ટર એ પ્રતિબંધ ફરમાવ્યો છે.મચ્છુન્દ્રી પુલના વૈકલ્પિક રૂટ તરીકે ઉના-ભાવનગર રોડ, રોકડિયા હનુમાન મંદિરથી ઉના-ચાચકવડ રોડ, કંસારી ચોકડી, બાયપાસ થઈ તપોવન બ્રિજથી ઉના શહેરમાં પસાર થવા હુકમ કર્યો છે.
આ પુલ પરથી બાર પેસેન્જરની ક્ષમતાથી ઉપરના મેક્સી કેબ વાહનો તેમજ ૭૫૦૦ કિ.ગ્રાથી વધુ વજન ધરાવતા તમામ વાહનોના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, જેમાં વિદ્યાર્થીઓનું પરિવહન થતું હોય તેવા વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કલેકટર એ સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિ સાથે જિલ્લામાં કોઈ વિપરીત પરિસ્થિતિ સર્જાય તો તે માટે સાબદાં રહેવા માટે જિલ્લા તંત્રના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
કલેકટર એ વિવિધ રસ્તાઓ પર આવેલા પુલો પર જરૂરી દિશા નિર્દેશ કરતા માર્ક લગાવવા તથા જ્યાંથી પાણી પસાર થતું હોય તેવી જગ્યાએ કેટલા ફૂટ પાણી જઈ રહ્યું છે? તેનો નિર્દેશ કરતા બોર્ડ લગાવવા માટે પણ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
કલેક્ટરશ્રી સાથે પ્રાંત અધિકારી વિનોદ જોશી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત અને સ્ટેટ), પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જી.એમ.બી., રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એન.એચ.એ.આઈ. ) અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.
આ પણ વાંચોઃરાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી
