આરસીઈપી – ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી એટલે શું? શું તમને ખબર છે? શું તમને ખબર છે કે, ભારત સરકાર દ્વારા તમામ દેશો જ્યારે RCEPમાં સામેલ થયા ત્યારે પણ કેમ સામેલ થવાની ના પાડવામાં આવી છે….
આરસીઈપીએ 16 દેશો વચ્ચેનો મફત વેપાર કરાર છે, જે આ દેશો વચ્ચેનાં વેપારને વધુ સરળ બનાવે છે. આ 16 દેશોમાંથી 10 દેશો આસિયાન જૂથનાં છે અને 6 દેશો એવા છે કે જેની સાથે આસિયાન જૂથનાં દેશોનો મફત વેપાર કરાર છે. મુક્ત વેપાર કરાર એટલે બે અથવા વધુ દેશો વચ્ચેનો એવો કરાર જેમાં આયાત-નિકાસની સરળતામાં વધારો કરવામાં આવે છે. આવા કરારનાં સભ્ય દેશો કર ઘટાડે છે અને વેપાર માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે.
આ કરાર 2011માં થયો ત્યારે ચીન અને મલેશિયા જેવા આર્થિક રીતે સંપન્ન દેશોને 90%થી વધુ એક્સાઈઝ ડ્યુટી મુક્ત નિકાસ કરવાની છૂટ મળી હતી, પરિણામ સ્વરૂપે 2014 સુધીમાં ચીનથી કુલ આયાત 44 બિલીયન અમેરિકી ડોલર થઈ ગઈ હતી. જે ભારત સરકાર અને વાણીજ્ય મંત્રાલય હાલમાં 37 બિલીયન અમેરિકી ડોલર સુધી લઈ આવ્યા છે અને ભારતની નિકાસમાં પણ વધારો કર્યો છે. આજે ભારતે આરસીઈપીનાં નવા કરાર પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી છે અને આરસીઈપી કરારમાંથી મુક્ત થઈ ગયું છે જેથી ચીન જેવા આર્થિક રીતે સમૃદ્ધ દેશોને ફટકો પડવાનો છે. આરસીઈપી જેવા કરારથી ચાઈનાનાં ઉત્પાદકોને ભારતની ભવ્ય બજારમાં પગ પેસારો કરવાની મંજૂરી મળી ગઈ હતી પરંતુ હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આરસીઈપીનાં નવા કરાર પર હસ્તાક્ષર કરવાની ના પાડી દેતા ચીનને સૌથી મોટી મોટું નુકસાન અને ભારતને સૌથી મોટો લાભ થશે.
વર્ષ 2006-07નો સમય યાદ કરો. અચાનકથી ચાઈનાની વસ્તુઓ ભારતની બજારમાં આવતા ભારતનાં કેટલાય સથાનિક ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. તેનું મુખ્ય કારણ ચીન સાથે ભારત સરકારનો મફત વેપાર કરાર હતો. કોંગ્રેસની મનમોહન-સોનિયા સરકારે વર્ષ 2006-07માં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ 2011માં આરસીઈપી કરાર થયો હતો. ચીનના ઉત્પાદનોએ ભારતની બજારોમાં એટલી હદે કબજો કર્યો છે કે આજે ચાઈનાની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી ભારતીય ઉત્પાદનો અને ભારતીય એમએસએમઈ અને તેનાથી સંકળાયેલા લાખો લોકોને રોજગારી મળે. પૂર્વ સરકારનાં કેટલાંક નિર્ણયોથી 2014 સુધીમાં ભારતીય બજારમાં પરિસ્થિતિ એટલી નાજુક બની ગઈ હતી કે તમે જ્યાં પણ નજર ફેરવો ત્યા તમને ચીની ઉત્પાદનની વસ્તુઓ જ જોવા મળે. મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પૂર્વ સરકારની નબળી નીતિને કારણે મોટાભાગની ચાઈનીઝ પેદાશો ગેરકાયદેસર રીતે ભારતીય બજારોમાં ઘુસેડવામાં આવી હતી.
પૂર્વ સરકારનાં શાસન દરમિયાન સરકારે ભારતનાં 74% બજાર હિસ્સો આસિયાન દેશો માટે ખુલ્લો મૂક્યો હતો જ્યારે ઈન્ડોનેશિયા જેવા સમૃદ્ધ દેશોએ તેમની બજારનો માત્ર 50% હિસ્સો ભારત માટે ખોલ્યો હતો. પૂર્વ સરકારે આરસીઈપી – ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી અને એફટીએ – મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરતા આરસીઈપી રાષ્ટ્રો સાથે ભારતની વેપાર ખાધ 2004માં 7 બિલીયન ડોલરથી વધીને 2014માં 78 બિલીયન ડોલર થઈ ગઈ હતી. ભારતનાં સ્થાનિક ઉદ્યોગો હજુ પણ આ નિર્ણયોના પ્રભાવ હેઠળ છે. તેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મક્કમતાથી આરસીઈપી કરાર પર હસ્તાક્ષર કરવાની ના પડી દીધી છે કારણ કે, આ કરારની જોગવાઈઓ ભારતનાં નાગરિકોનાં હિતની વિરુદ્ધમાં છે. હાલના સંજોગોમાં ભારત આરસીઈપીમાં જોડાઈ રહ્યું નથી.
2014માં રચાયેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે આયાત-નિકાસની નીતિઓમાં ઘણો સુધારો કર્યો છે જેના કારણે ચીનથી આયાત ઓછી થઈ છે અને નિકાસ વધી છે, આપણી વેપાર ખાધ પણ ઓછી થઈ રહી છે. આ બધા પાછળ મોદીજીનાં મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટનો બહુ મોટો ફાળો છે. આજે જ્યારે ભારતે પોતાને આરસીઈપી કરારથી અલગ કરી દીધું છે ત્યારે તેના ફાયદા અને ગેરફાયદા બંને છે પરંતુ આ કરારથી ભારતીય વેપારીઓ અને એમએસએમઈને નુકસાન ઓછું અને ફાયદો વધુ થવાનો છે. આ જ એ સમય છે જ્યારે ભારતે પણ ભારતીય બજારનાં દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનવું પડશે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આરસીઈપી કરારથી અલગ થવાનો નિર્ણય આ દિશામાં સકારાત્મક પગલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.