- પ્રણવ મુખરજી અને અહમદ પહેટની વિદાય બાદ એ સત્તાના અભાવે કોંગ્રેસ પાસે ફંડ પણ ઘટ્યુ
- ફંડ રેઈઝર નેતાની ખોટ પણ કોંગ્રેસને સતાવે છે
- એક કે બે ઉદ્યોગપતિ અને વિદેશી કંપનીઓ કે જેમાં ચીનની કંપનીઓ પણ આવી જાય છે તેની સાથે એમ.ઓ.યુ. કરીને ગુજરાતે છેલ્લા ૨૫ વર્ષમાં જે ઔદ્યોગિક વિકાસ કર્યો છે તે માત્ર છ થી સાત ટકા જ છે. પણ આ વાત પરાજયના મારથી હતાશ બનેલા કોંગ્રેસી નેતાઓ લોકોને સમજાવી શકતા નથી.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે પાંચ રાજ્યોની ચૂંટણીમાં આસામને બાદ કરતાં કોઈ સ્થળે પુરી ૨૫ ટકા બેઠકો પણ લડી નથી. આસામમાં ૧૨૬ પૈકી કોંગ્રેસ ૮૦ થી વધુ બેઠકો માટે મેદાનમાં હતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે ૨૯૪ પૈકી માત્ર ૯૨ બેઠકો પર પોતાના ઉમેદવારો મૂક્યા. બાકીની બેઠકો ગઠબંધનને હવાલે કરી. પોંડીચેરીમાં કોંગ્રેસ બેઠકો લડે છે પરંતુ ત્યાં તેને ભાજપ કે અન્ના ડીએમકેનો નહિ પણ પોતાના જ પક્ષના જૂના સભ્યોનો સામનો કરવાનો છે. જ્યારે કેરળમં આઠ પક્ષોના ગઠબંધનમાં કોંગ્રેસ મુખ્ય ઘટક છે પણ તે માત્ર ૭૫ બેઠકો લડે છે જ્યારે તમિલનાડુમાં માત્ર તેને ૪૦ બેઠકો લડવા મળી છે. એક જમાનાની ચક્રવર્તી સમ્રાટ જેવી પાર્ટી કોંગ્રેસને આજે માન્ય રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્થાન મેળવવા એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવવા ફાંફા મારવા પડે છે. ૧૯૮૫માં ૪૧૫ બેઠકો જીતનાર કોંગ્રેસને લોકસભામાં માત્ર ૨૦૧૪માં માત્ર ૪૪ અને ૨૦૧૯માં માંડ માંડ ૪૨ બેઠકો મળી.
ભલે છત્તીસગઢ, પંજાબ અને રાજસ્તાનમાં કોંગ્રેસની પોતાની સત્તા છે તો હરિયાણામાં મોટી પાર્ટી હોવા છતાં વિપક્ષે બેસવું પડ્યું છે. ઝારખંડમાં કોંગ્રેસ માત્ર બીજા નંબરનો પાર્ટનર છે તો મહારાષ્ટ્રમાં ભલે ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં કોંગ્રેસના પ્રધાનો હોય પરંતુ સંખ્યાની દૃષ્ટિએ ગઠબંધનમાં ૪૫ બેઠકો સાથે ત્રીજુ અને મહારાષ્ટ્રમાં ચોથું સ્થાન છે. દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નથી અથવા તો ૨૦૨૦ની ચૂંટણીમાં ત્યાં તેનું ખાતું પણ ખૂલ્યુ નથી. આંધ્રપ્રદેશ, તેલંગણા જેવા એક જમાનામાં તેના ગઢ ગણાતા રાજ્યોમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ છે. કર્ણાટકમાં કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી બની ગઈ છે. વડાપ્રધાનના વતન એવા ગુજરાતમાં ૨૦૧૭માં કોંગ્રેસના ૭૭ સભ્યો ૨૦૧૭માં જીત્યા હતાં પરંતુ પક્ષપલ્ટા અને સત્તાલાલચુ સભ્યોના કારણે આ સંખ્યા ૬૫ થઈ ગઈ છે. ૨૦૨૦માં પેટાચૂંટણીમાં આઠેય બેઠકો ગુમાવનાર કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીમાં છ માંથી એકેય મહાનગર તો જીતી ન શકી પરંતુ ૨૩ જિલ્લા પંચાયતો જે તેની પાસે હતી તેમાં પણ સત્તા ગુમાવી છે. પંચમહાલ જેવી ત્રણ જિલ્લા પંચાયતમાં ખાતું પણ ખૂલ્યું નથી. ૧૪ થી વધુ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસના ડબલ આંકડાના સભ્યો પણ નથી.
બિહારમાં લાલુપ્રસાદ યાદવના પક્ષ આર.જે.ડી. સાથે ગઠબંધન કરવા છતાં કોંગ્રેસને ૨૦૨૦માં યોજાયેલી ચૂંટણીમાં માત્ર સમ ખાવા પૂરતી ૧૯ બેઠકો મળી હતી. તેમાંના ૧૨ ધારાસભ્યો તો જનતાદળ (યુ)માં ઠેકડો મારવાની તૈયારી કરીને બેઠી છે.
પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નહેરૂ, બીજા વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રી અને ત્રીજા વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી અને ચોથા વડાપ્રધાન રાજીવ ગાંધીના ઉત્તરપ્રદેશમાં આજે લોકસભામાં એક માત્ર ચૂંટાયેલા સભ્ય શ્રીમતી સોનિયા ગાંધી છે તો ૨૦૧૭માં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે જાેડાણ કર્યા પછી પણ કોંગ્રેસને માત્ર સમ ખાવા પૂરતી સાત બેઠકો મળી હતી. આ સાતમાંથી ત્રણ ધારાસભ્ય વાડ પર બેઠા છે અને તેવી શક્યતા નકારી શકાતી નથી. મધ્યપ્રદેશમાં કોંગેસને મળેલો સત્તાનો કોળિયો માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા કદાવર નેતાને ન સાચવી શકવાને કારણે ગુમાવવો પડ્યો છે. ઈશાન ભારતના નાના રાજ્યોમાં કોંગ્રેસનું શાસન નથી. ૨૦૧૯ની લોકસભા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો જનાધાર પણ ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે. દેશમાં ૧૯૪૭ થી ૧૯૭૭ સુધીના ૩૦ વર્ષ અને ૧૯૮૦થી ૧૯૮૯ સુધીના ૧૦ વર્ષ અને ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી ૧૦ વર્ષ મળી કુલ ૫૦ વર્ષ શાસન કરનાર પક્ષને અત્યારે અસ્તિત્વ માટે ફાંફા મારવા પડે તેવી હાલત છે.
કોંગ્રેસ દેશના મતદારોને એ વાત પણ સમજાવી શકતી નથી કે ૧૯૪૭માં દેશની જે હાલત હતી તેની વચ્ચે દેશને મજબૂત કર્યો છે, ટકાવ્યો છે, મજબૂત બનાવ્યો છે. કમનસીબે ગુજરાતના કોંગેસી નેતાઓ લોકોને ગળે એ વાત ઉતરાવી શકતા નથી કે ગુજરાતમાં ૧૯૯૫ બાદ સત્તા પર આવેલા ભાજપે એકપણ મોટો બંધ બાંધ્યો નથી. ગુજરાતમાં ૧૯૮૦થી ૧૯૯૦ સુધીના ગાળામાં વાપીથી વડોદરા સુધીનો વિસ્તાર ઔદ્યોગિક હબ બન્યો છે. તે પણ કોઈ પણ વિદેશી કંપની સાથે એમ.ઓ.યુ. કર્યા વગર. કોંગ્રેસના નેતાઓ લોકોને એ વાત પણ સમજાવી શકતા નથી કે જે જીઆઈડીસી ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો બની હતી તે ૧૯૬૮માં હિતેન્દ્ર દેસાઈના મુખ્યમંત્રી જશવંત મહેતાએ પ્રથમ જી.આઈ.ડી.સી. શરૂ કરાવી હતી. માત્ર નર્મદા યોજના પૂર્ણ કરાવીને કે એક કે બે ઉદ્યોગપતિ અને વિદેશી કંપનીઓ કે જેમાં ચીનની કંપનીઓ પણ આવી જાય છે તેની સાથે એમ.ઓ.યુ. કરીને ગુજરાતે છેલ્લા ૨૫ વર્ષમાં જે ઔદ્યોગિક વિકાસ કર્યો છે તે માત્ર છ થી સાત ટકા જ છે. પણ આ વાત પરાજયના મારથી હતાશ બનેલા કોંગ્રેસી નેતાઓ લોકોને સમજાવી શકતા નથી.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કારમી હાર અને ત્યારબાદ મોટાભાગની વિધાનસભાઓ ગુમાવનાર કોંગ્રેસ ૨૦૧૯ની લોકસભા કે ત્યારપછીની વિધાનસભા ચૂંટણીમાં બેઠી થઈ શકી નથી. ભૂતકાળમાં ૧૯૭૭ બાદ કોંગ્રેસ પાસે એક નહિ અનેક સંકટમોચક નેતાઓ હતા જે કોંગ્રેસને ૧૯૮૦માં ફરી સત્તા પર લાવ્યા હતા. ૧૯૯૦માં સત્તા ગુમાવનાર કોંગ્રેસને ૧૯૯૧માં ફરી સત્તા પર લાવવામાં ઘણા નેતાઓની ભૂમિકા હતી. ૨૦૦૪માં કોંગ્રેસને ફરી સત્તા પર લાવી મજબૂત બનાવવામાં પ્રણવ મુકરજી અને અહમદ પટેલ અને મોતીલાલ વોરા જેવા સંકટમોચક નેતાઓ હતા. અત્યારે કોંગ્રેસ પાસે સંકટમોચક અને ફંડ મેનેજર તરીકે પણ ભૂમિકા સફળ રીતે નિભાવી શકે તેવા એકપણ નેતા નથી. માત્ર ગાંધી પરિવારના સહારે કોંગ્રેસ ક્યાં સુધી ટકશે ? આજ મોટો સવાલ સૌ લોકશાહી પ્રેમીને મુંઝવે છે. કારણ કે તંદુરસ્ત વિપક્ષ જ લોકશાહીનો પાયો છે.