આ તો બબાલ માં થી બખડજંતર બહાર આવ્યું છે.. બાકી બધું સમું સુતરું ચાલે જાત.
નાદાન ગણાતી પ્રજા રાજનેતાઓની બેજવાબદાર વર્તણુક માટે આમને-સામને છે
@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક
ગૂંગળામણ અનુભવ કરાવતો માહોલ રાજકીય ખેલંદાજીની પીચ બન્યો હોય તેવો સીન ક્રિએટ થયો છે. નાદાન ગણાતી પ્રજા રાજનેતાઓની બેજવાબદાર વર્તણુક માટે આમને-સામને છે. ચૂંટણી અને મેચના કારણે કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે, તે દિવા જેવી ચોખ્ખી બાબત છે. રા જાકીય પાર્ટીઓ અને રાજનેતાઓએ સમગ્ર કોરોના કાળ દરમ્યાન તદ્દન લાપરવાહ-બેજવાબદાર અને તાનાશાહ વર્તણુક કરી છે. તમે માસ્ક ન પહેરો તો કોરોના ફેલાય અને અમે ન પહેરીયે તો વાળ પણ વાંકો ન થાય તેવી હરકતો આચરવામાં આવી છે. ત્યારે નગ્ન સચ્ચાઈ તે જ છે કે, લોકશાહીમાં લોકપદ્ધતિ થી ચૂંટાયેલા નેતાઓ એટલે સાચા અર્થમાં લોકનેતા કહેવાય. આ કઈ રાજાશાહી નથી કે, અહીં રાજાની જેમ સ્પેશ્યલ પ્રિવિલેજ ના તમો હકદાર છો. લોકશાહીમાં કોર્ટના કઠધરામાં સામાન્ય ગુનેગાર ઉભો રહે ત્યાં જ આરોપી બનેલ નેતાએ પણ ઉભા રહેવું પડે. અને તે જ લોકશાહીની શાનો શોકત ગણાય.
તેથી મેચ જેવી ક્ષુલ્લ્ક બાબત કે જેનાથી દેશને નયા પૈસાનો પણ ફાયદો નથી. એક આવક સિવાય કોઈ પણ રીતે ખાસ તો આ સમયે મેચ યોજવાની કોઈ જ જરૂરત ન હતી. તેમછતાં આ નાદાનિયત આચરવામાં આવી અને ભલી- ભોળી, બેવકુફ પ્રજા કોરોના ને સાઈડમાં કરી હોંશે હોંશે સ્ટેડિયમમાં જમા થઇ. તેલ પીવા જાય કોરોના અને કોરોનની ગાઈડ લાઈન. થશે ત્યારે જોયું જશે જેવો અભિગમ આ માસુમ (બુદ્ધુ ) પ્રજાનો જોવા મળ્યો. જો, કે આ વિશે ખુબ જ બહશ થઇ ચુકી છે. પરંતુ કહેવાનો આશય છે કે, પ્રજા ને દોરવનાર અને નીતિ ના ઘડવૈયાઓ પ્રજા માટે એક ઉદાહરણ સરીખા હોય છે. કોલોનિયલ યુગના અસ્ત બાદ લોકશાહી નો ઉદય લોકો વડે ચાલતી સરકારનો છે. કે જે પ્રજા ના હિતને સર્વોપરી ગણે.
તેથી કોઈ અંધભક્તિ નહીં પરંતુ જવાબદારીની એક સીમા રેખા જોવાનો પ્રયાસ જરૂર અહીં થાય. જો, કે લોકશાહીમાં લોકો પણ સાવ ઘેટાં ના ટોળા ની જેમ વર્તે તે પણ લોકશાહીની તંદુરસ્તી માટે હાનીકરક છે. તેથી લોકોએ પણ તે હદે નાદાન ન થવું જોઈએ કે પોતાના માટે સારું શું અને ખરાબ શું ની સમજ જ ન હોય. અન્યથા જે દેશની પ્રજા જાગૃત હોય અને તેનું ચારિત્ર્ય ઊંચું હોય તે દેશની પ્રગતિ નિશ્ચિત જ હોય છે. બાકી અનએજ્યુકેટેડ હોય તેમ વર્તવામાં આવે તેને કોઈ ન બચાવી શકે.
વિશેષમાં કોરોનના કહેર વચ્ચે પણ ગેરરીતિઓનો આલમ ટોચ પર છે. મુંબઈ માં એન્ટિલિયા પ્રકરણે આજે અમલદાર શાહી અને નેતાઓ વચ્ચેની સાંઠગાંઠનો ચાલતો કરોડો રૂપિયાની ખંડણી કહો કે વસૂલી કહો કે હપ્તારાજ કહોનો પર્દાફાશ કર્યો છે. ભ્રષ્ટાચારથી પણ એક કદમ આગળ ની આ ગેરરીતિ ઓ દાઉદ ઈબ્રાહીમની યાદ અપાવી ગઈ. આ કથાનકના નાયકોનો રોલ કોઈ રીતે અંડરવર્લ્ડના ડોન ની કેફિયત થી ઓછો નથી. રાજકારણનો અગર આ જ ચિતાર છે તો માફિયા અને નેતાઓ વચ્ચેની પાતળી ભેદરેખા પણ તૂટતી લાગે છે. 100 કરોડ ની વસૂલીનો આદેશ જયારે એક નેતા એક પોલીસ અધિકારીને આપે ત્યારે તેની ટીકા માટે શબ્દો ખૂટે છે. પરંતુ જમીની સચ્ચાઈ તે જ છે કે, આવી મિલીભગતોની જાળ પેરેલલ બીછાયેલી જ છે. આ તો બબાલ માં થી બખડજંતર બહાર આવ્યું છે. બાકી બધું સમું સુતરું ચાલે જાત. આ ગોઠવણ અમલદારશાહી અને રાજકીય નેતાઓ ને માફક આવી ગયેલી જ છે.
જો, કે આ મુદ્દો મહારાષ્ટ્રનો છે પરંતુ ગુજરાતમાં પણ શ્રેય હોસ્પિટલમાં થયેલ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી મુદ્દે અને વારંવાર થતા અગ્નિકાંડ મુદ્દે ક્યારનો હોબાળો ચાલુ છે. તેમછતાં સાલું તે સમજાતું નથી કે, આટલા લાંબા સમય બાદ પણ હજી સ્થિતિ જશની તશ છે. નારોલ જીઆઇડીસી એરિયામાં વારંવાર થતા અગ્નિકાંડ બાદ હમણાં ફરી મરુધર કંપનીમાં લાગેલ આગ નો મામલો હજુ ગરમ છે. અને આ મુદ્દે થયેલ આક્ષેપોમાં રિટાયર્ડ ફાયર ઓફિસર દસ્તુર અને તેમના પુત્રનું નામ વારંવાર સપાટી પર આવી રહ્યું છે. તેમછતાં મહારાષ્ટ્રની જેમ જ આ રકમ ઉપર સુધી પીરસાતી હોવાથી તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ ની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે. તેમ ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ જણાવ્યું છે.
ઇમરાન ખેડાવાળા એ વધુમાં જણાવ્યું હતું કે, ભાદર નદીના તટમાં થી ખનિજોની ચોરી બેફામપણે થઇ રહી છે. અને કરોડોના ખરચે બનાવવામાં આવેલ ડેમ ને પણ આ પ્રવૃત્તિથી ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અને રેતી ની ચોરી પણ મોટાપાયે કરવામાં આવી રહી છે. આ અંગે વિપક્ષે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ ખનીજ ચોરીમાંથી 2 કરોડ જેટલી રકમ ગાંધીનગર સુધી પહોંચે છે. જો, કે આ અંગે પુરાવા આપી સાબિત કરવું જોઈએ. પરંતુ અન્ય માફિયાઓની જેમ ખનન માફિયાઓનું પણ વર્ચસ્વ પ્રવર્તે છે તે પણ એક હકીકત છે.
ત્યારે આખરે કહેવાનો આશય તે જ છે કે, ભ્રષ્ટચાર, ગેરરીતિઓ અને બેજવાબદારીઓ નો આલમ તેની ચરમ સીમા એ છે. લોકોના દિલમાં આક્રોશ પણ કૂટીકૂટીને ભર્યો છે. જે ક્યારેક નાની સરખી ચિનગારી ના સ્વરૂપમાં પ્રગટ થાય છે. પરંતુ અહીં કોઈને ગેરમાર્ગે દોરવાનો લેશમાત્ર આશય નથી પરંતુ નાના તણખા પણ હવા મળતા એક બ્લાસ્ટ સાથે મોટા અગ્નિકાંડનું સ્વરૂપ ધારણ કરતા હોય છે તે સત્તાનશીનો ન ભૂલે. અને લોકો પણ લોકશાહીને સાચા અર્થમાં સમજી બીજું કઈ ન કરે તો પોતાનું સાચું ખોટું સમજવાની બુદ્ધિ કેળવે તો અડધી સમસ્યાઓ આપોઆપ સોલ્વ થઇ જશે.