ભાવનગર
ભાવનગરની ભાદ્રોડી નદીમાં 30 વર્ષ બાદ નવા નીર આવ્યાં છે. ભાવનગર પંથકમાં છેલ્લા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ પડવાથી જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.
ભાવનગરના ભાદ્રોડ ગ્રામ્ય વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા લોકોને પરેશાની વેઠવી પડી રહી છે. ગામમાં એટલી હદે નદીના પાણી આવી રહ્યા છે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે સ્થાનિક લોકોએ દોરડા બાંધીને રોડ ક્રોસ કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદથી બગડ નદીમાં ઘોડાપુર પુર આવી ગયું છે. ભાવનગરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના બગડેશ્વર મહાદેવનું મંદિર નદીના પાણીમાં ડૂબી ગયું છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે 129 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે 5 સ્ટેટ હાઈ-વે અને 124 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેટલીએ જગ્યા પર વીજ પુરવઠો પણ ખોરવાયો છે. રાજ્યમાં વરસાદના કારણે મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે. 110 જેટલા પશુઓના પણ મોત થયા છે.
જેસર તાલુકાનું પીપરડી અને સાવરકુંડલા તાલુકાનું ઘોબા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ગામોના ઉપરવાસમાં આવેલ ડુંગર વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે ગામ ફરતે પાણી ફરી વળ્યા છે.