@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
છેલ્લા થોડા દિવસોથી એક નવા પ્રશ્નની ચર્ચા શરૂ થઈ છે. આ બાબત અંગે જાહેરાત કે નિર્દેશ ભલે કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી મનીષ તિવારીએ આપ્યો હોય પરંતુ આ મુળભૂત સૂચન પૂર્વ અને સદ્ગત્ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું છે. આ સૂચન એકે સંસદની હાલ ૫૪૫ બેઠક છે જેમાં બે નોમીનેટેડ હોય છે અને ૫૪૩ ચૂંટાય છે. લગભગ ત્રીસેક વર્ષથી આજ માપદંડ ચાલ્યો આવે છે. છ થી વધુ ચૂંટણી યોજાઈ ગઈ. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ હતાં ત્યારે તેમણે સંસદની ૧૦૦૦ બેઠક કરવાનું સૂચન કર્યું હતું. વડાપ્રધાન મોદીને આ સૂચન ગમી ગયું હતું. જાે કે ૨૦૧૯ની ચૂંટણી નજીક હોવાથી તેનો અમલ કરવો અઘરો હતો. હવે જ્યારે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા નવા સંસદભવન અને રહેણાક પરિસરની કામગીરી કે જે દિલ્હીમાં ચાલી રહી છે તેમાં સંસદનો સભાખંડ ૧૦૦૦ સાંસદો બેસી શકે તેવો બનાવવામાં આવી રહ્યો છે તેનું કામ પણ પૂરજાેશમાં છે. શક્ય એટલું વહેલું આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે.
તાજેતરમાં ભાજપના ઉચ્ચ વર્તૂળોના જણાવ્યા મુજબ સંસદની બેઠકો વધારી હજાર કરવા અંગેનો નિર્ણય લેવાઈ ગયો છે. તેનો અમલ કઈ રીતે કરવો ? કઈ બેઠકોનંુ વિભાજન કરવું અથવા તો નવી બેઠકોનું સીમાંકન કઈ રીતે કરવું ? તે અંગે નિષ્ણાતોની સલાહ લેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તો એવો ગેઈમ પ્લાન ઘડી રહ્યા છે કે હવે પછી ૨૦૨૪માં એટલે કે અઢી પોણા ત્રણ વર્ષ બાદ જે લોકસભાની ચૂંટણી આવવાની છે તે ૧૦૦૦ બેઠકોની જ યોજાય. એપ્રિલ મે ૨૦૨૪માં તબક્કાવાર વિવિધ બેઠકોની ચૂંટણી થશે. આમ આ બેઠકો અંગેનું માળખું વહેલામાં વહેલી તકે તૈયાર કરી લેવું પડે. આ કોઈ ઘણા માને છે એવી સરળ સમસ્યા નથી. બેઠકો વધે તેમાં કોઈ પક્ષને વાંધો પણ ન હોઈ શકે. પરંતુ આમા ઉતાવળે આંબા પાકે તેવું આયોજન પણ કામ ન આવે. વડાપ્રધાન અને ભાજપના નેતાઓએ જે યોજના ઘડી કાઢી છે તે પ્રમાણે ૧૦૦૦ બેઠકોમાંથી ૩૩ ટકા બેઠકો માત્રને માત્ર મહિલાઓ એટલે કે ૩૩૦ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની વાત છે અને આ રીતે મોંઘવારી અને ભાવવધારાથી કંટાળેલી મહિલાઓનો મોટો વર્ગ ભાજપની વિરૂદ્ધમાં ન જાય તે માટેની પણ આ યોજના છે. બાકી જે તે રાજ્યોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠકોની હાલની ટકાવારી યથાવત રહેશે. જ્યારે ૩૩ ટકા મહિલા અનામત બેઠકો છે તેમાં પણ અમૂક બેઠકો (નિયત થયેલી ટકાવારી પ્રમાણે) મહિલાઓ માટે અનામત રાખી શકાય તેમ છે. જેમ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં મહિલા અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને જેમ અનામત બેઠકો આપવામાં આવે છે તે જ માપદંડ આમા પણ અપનાવાય છે તેવી શક્યતા છે.
હવે સરકાર આ ૧૦૦૦ બેઠકોના સૂચનના અમલ અંગે ગંભીર હોય તો તેણે કામગીરી મોડામાં મોડી ૨૦૨૧ના ડિસેમ્બર પહેલા શરૂ કરી દેવી પડે. પહેલા બેઠકોના સીમાંકન નક્કી કરવા પડે. આ સીમાંકન નક્કી થયા બાદ બંધારણીય અને કાનૂની જાેગવાઈ પ્રમાણે તેના વાંધા મગાવવા પડે. વાંધાઓ ન આવે તો ઠીક છે પણ જે બેઠકોના સીમાંકન સામે જે તે વિસ્તારમાંથી વાંધો આવ્યો હોય તે વાંધાઓનો યોગ્ય રીતે નિકાલ કરવો પડે. આ કામગીરી કમ સે કમ ૨૦૨૨ના માર્ચ-એપ્રિલ પહેલા આટોપી લેવી પડે અને ત્યારબાદ નવી લોકસભા માટે મતદારોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરવાથી માંડીને આખરી યાદી પ્રસિદ્ધ કરવા સહિતની કામગીરી પણ કરવી પડે તેમ છે. આ બધું નિયત સમયમાં પૂર્ણ થાય અને કાનૂની કે અન્ય કોઈ પ્રકારનો અવરોધ ન આવે તો આ કામગીરી સરળતાપૂર્વક પાડી પાડી શકાય અને નવા સંસદભવનના પરિસરમાં પણ નવી સંસદની રચના પહેલા જ બધા પ્રકારની ગોઠવણ કરી લેવી પડે તેમ છે.
નવા સંસદભવના પ્રોજેક્ટ આડે હવે કોઈ કાનૂની અવરોધ નથી એટલે તે કામગીરી તો ધારણા પ્રમાણે પૂરી થઈ શકે તેમ છે.
જાે કે ૧૦૦૦ બેઠક કરવામાં આવે તો ઉત્તરપ્રદેશમાં હાલ જે ૮૦ બેઠકો છે તે વધીને સવાસો થી દોઢસો થઈ જાય અને આપણા ગુજરાતની જે ૨૬ બેઠકો છે તેની સંખ્યા ઓછામાં ઓછી ૪૦ થઈ જાય. ૩૩ જિલ્લાઓની ૨૬ બેઠક છે તેના બદલે દરેક જિલ્લાઓમાંથી વધારાની બેઠકો માટે સીમાંકન કરવું પડે.
વિધાનસભાની સાત બેઠકોનો એક સંસદીય વિસ્તાર બને છે જ્યાં સાતથી વધુ વિધાનસભા બેઠકો છે. ત્યાંના વધારાના વિસ્તારો નજીકના બેઠકોની ઘટવાળા વિસ્તારોને આપા પડે છે. કદાચ વધુ વસતિ અને વધુ મતદારોવાળા વિસ્તારોમાં છ કે પાંચ બેઠકો વચ્ચે પણ એક સંસદીય ક્ષેત્ર ફાળવી શકાય તેમ છે.
જાે કે આ કવાયત વન નેશન વન ઈલેકશન કરતં સહેલી છે પરંતુ સાવ સરળ પણ નથી. માત્ર વાતો કે સૂત્રોના બદલે આની કામગીરી શરૂ કરી દેવી પડશે. સર્વપક્ષીય બેઠક અને સમીક્ષા બેઠક એકવાર મળે તે ઠીક છે પણ પછી જાે ૨૦૨૪માં આ નવી ૧૦૦૦ બેઠકોની ચૂંટણી કરવી જ હોય તો પછી વાતો અને ચર્ચા ઓછી કામ વધારે તે વલણ અપનાવવું પડે. પહેલા બંધારણીય જાેગવાઈઓ એટલે કે સંસદમાં ઠરાવ અને તેને રાષ્ટ્રપતિની બહાલી, ત્યારબાદ સીમાંકન અને પછી આખરી મતદાર યાદી તૈયાર કરવા સહિતની કામગીરી જાન્યુઆરી ૨૦૨૪ આસપાસ પૂર્ણ થઈ જાય તો જ ૨૦૨૪માં ૧૦૦૦ બેઠકોની ચૂંટણી થઈ શકે નહિ તો પછી ૨૦૩૦ સુધી રાહ જાેવી પડે.
તાજેતરના ચાર પાંચ વર્ષમાં જે કાયદા બનાવ્યા તે અમલમોકુફીના ચક્કરમાં છે. સી.એ.એ.નો અમલ શરૂ થઈ શક્યો નથી. જ્યારે ભૂતકાળમાં સંસદના એક ગૃહે પસાર કરેલ અને બીજા ગૃહમાં લટકી ગયેલ લોકપાલ ખરડાના ઠેકાણા નથી. ત્રણેય કૃષિ કાયદા સંસદના બન્ને ગૃહોએ પસાર કર્યા હોવા છતાં તેને આંદોલન અને કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં બહાલી આપવામાં આવી નથી તેના કારણે તે સાવ અટકી પડ્યા છે.
આ બધી વરવી વાસ્તવિકતા વચ્ચે સંસદની ૧૦૦૦ બેઠકોવાળું શમણું ૨૦૨૪માં સાકાર થાય તો ‘મોદી હૈ તો મુમકીન હૈ’નું સૂત્ર કમ સે કમ આ બાબત પુરતું સાચંવું પડે.