કોરોના સંક્રમણની વકરતી જતી પરિસ્થિતિ સામે રાજ્ય સરકાર હાલ સક્રિયતાથી કામ કરી રહી છે ત્યારે રાજકોટના લોકો ને પણ કોરોનાની વચ્ચે સગવડતા ઉપલબ્ધ થાય તે માટે RT-PCR ડ્રાઈવ થ્રુ ટેસ્ટ માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં RT-PCR ટેસ્ટ માટે પણચાર ચાર દિવસનું લેબમાં વેઇટિંગ હતું, આ ઉપરાંત ટેસ્ટિંગ રિપોર્ટનો પણ ભરાવો થઈ ગયો હતો. હાલ મનપા દ્વારા શરૂ કરાયેલી રેપિડ ટેસ્ટના ડોમની સાથે ખાનગી લેબોરેટરીઓમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. એવામાં મ્યુનિ. કોર્પોરેશને પ્રાઈવેટ લેબ સાથે મળીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરાઈ છે. આ ટેસ્ટનો રિપોર્ટ 24 થી 36 કલાકમાં આવી જશે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા ગરીબોને આ ટેસ્ટ નિઃશુલ્ક કરાવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના સહયોગથી રેસકોર્ષ સંકુલ ખાતે આજ તા.૦૧/૦૫/૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિને ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સુવિધાનો પ્રારંભ સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે કરાયો છે. ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ લેવામાં આવશે.હાલમાં, કોરોનાની બીજી લહેરના કારણે સંક્રમિતનું પ્રમાણ વધેલ છે. જેના કારણે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરતી લેબોરેટરીમાં ટેસ્ટ માટે ખુબ જ લોકો જઈ રહ્યા છે. શહેરના ઘણા સિનિયર સીટીઝનો, દીવ્યાંગો કે સગર્ભા મહિલાઓને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે લેબોરેટરીના સ્ટાફને ઘરે બોલાવવા પડે છે અને પરિસ્થિતિને કારણે તેમાં વિલંભ પણ થતો હોય છે અને કોરોના સંક્રમિતનો ભય પણ રહે.
જે બધી બાબતો ધ્યાનમાં રાખીને આજ તા.૦૧/૦૫/૨૦૨૧ના રોજ ગુજરાત રાજયના સ્થાપના દિને રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની જાણીતી લેબોરેટરી
ન્યુબર્ગ સુપ્રાટેકના સહયોગથી ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કેન્દ્ર રેસકોર્ષ સંકુલમાં આવેલ કવિ રમેશભાઈ પારેખ રંગદર્શન પાસે સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, ડે.કમિશનર બી.જી. પ્રજાપતિ. તથા એ.આર. સિંહ, તેમજ ન્યુબર્ગ સુપ્રાટેકના ડોક્ટર તથા તેનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહેલ. મેયર ડૉ.પ્રદિપ ડવએ લોકોની સગવડતા માટે ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટના આયોજનની સરાહના કરેલ. અમદાવાદ ન્યુબર્ગના ડિરેક્ટર ડૉ.સંદીપ શાહનું માર્ગદર્શન મળેલ છે.
RT-PCR ડ્રાઈવ થ્રુ ટેસ્ટ શું છે ?
ટેસ્ટિંગ સ્ટેશન પર ગણતરીની મિનિટોમાં વ્યક્તિના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટેના જરૂરી સેમ્પલ લેવામાં આવશે ત્યારબાદ વ્યક્તિ પોતાનું વાહન ટેસ્ટિંગ સ્ટેશનથી આગળ હંકારી લઈ જઈ શકશે. બાદમાં ૨૪ થી ૩૬ કલાકના સમયગાળામાં સંબંધિત વ્યક્તિને વોટ્સએપ, ઈમેઈલ કે એસ.એમ.એસ.ના માધ્યમથી રીપોર્ટ અંગેની જાણ કરવામાં આવશે.
ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ એ ખુબજ ઝડપી અને સાનુકુળ ટેસ્ટિંગ પદ્ધતિ છે. આ ટેસ્ટમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું વાહન લઈને ટેસ્ટિંગ સ્થળ પર જઈને વિના વિલંબે આ ટેસ્ટ કરાવી શકે છે. આ ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ રૂ.૭૦૦ છે.
વ્યક્તિએ ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવાની જરૂરિયાત રહેતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પુર્વે જ અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટની સુવિધા શરૂ થયેલ છે. જયારે હવે આ સુવિધા રાજકોટમાં પણ લોકોને ઉપલબ્ધ્ધ બની છે.
ટેસ્ટિંગ માટેનું પેમેન્ટ રોકડા, પેટીએમ, કે યુ.પી.આઈ. દ્વારા કરી શકાશે.