Sabarkantha News : ખેડબ્રહ્મા (Khedbrahma )તાલુકામાં સાબરમતી નદીમાં નાહવા ગયેલા બે યુવાનોના ડૂબી જવાથી (Drowning)કરૂણ મોત થયાની ઘટના સામે આવી છે. ખેરોજ ગામ નજીક સાબરમતી નદીના પુલ નીચે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
નદીમાં નાહવા દરમિયાન બન્યો અકસ્માત
મળતી માહિતી મુજબ, ખેડબ્રહ્મા (Khedbrahma )તાલુકાના ઉબોરા ગામના બે યુવાનો ખેરોજ ગામ (Kheroj Village)નજીક સાબરમતી નદીમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન બંને યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
રાત્રે શોધખોળ, સવારે ફરી શરૂ કરાયું રેસ્ક્યૂ
બે યુવાનો પાણીમાં ડૂબ્યા (Drowning)હોવાની માહિતી મળ્યા બાદ ફાયર ટીમે સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી. રાત્રિના સમયે અંધારું હોવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. પ્રાથમિક પ્રયાસો બાદ વહેલી સવારે ફાયર વિભાગની ટીમે ફરી સઘન શોધખોળ હાથ ધરી હતી.
ફાયર ટીમે બંને મૃતદેહો બહાર કાઢ્યા
લાંબી શોધખોળ અને ભારે જહેમત બાદ ફાયર ટીમે સાબરમતી નદીમાંથી બંને યુવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. બંને મૃતકો ખેડબ્રહ્મા તાલુકાના ઉબોરા ગામના હોવાનું સામે આવ્યું છે.
ઉબોરા ગામમાં શોકનો માહોલ
બે યુવાનોના અકાળે મોતના સમાચારથી ઉબોરા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં પણ ભારે આક્રંદ અને અરેરાટી જોવા મળી હતી.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
ખેરોજ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે ઘટનાની નોંધ લઈને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. નદીમાં નાહવા દરમિયાન બંને યુવાનો કયા સંજોગોમાં ઊંડા પાણીમાં ગરકાવ થયા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કેશોદ વોટરપાર્કમાં બાળકનું ડૂબી જવાથી મોત
આ પણ વાંચો: વડોદરાના કોટના બીચ પર નાહવા પડેલા 9 યુવકો પૈકી 2ના ડૂબી જવાથી મોત, 7નો બચાવ
આ પણ વાંચો: જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં નહાવા ગયેલા 3 પરપ્રાંતીય યુવાનોના ડૂબી જવાથી મોત
