જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરને મળતી રોકડ ભેટમાં ઘટાડો થયો છે.દ્વારકાધીશ મંદિરને વર્ષ 2018-19 માં મળેલા દાનની ગત વર્ષ 2017-18ની વાર્ષિક આવકની સરખામણીમાં રોકડ રકમની દાનમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ 2017-18 ની સરખામણીમાં વર્ષ 2018-19 મળેલા રોકડ રકમના દાનમાં આશરે 76 લાખ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
દ્વારકાધીશ જગત મંદિરને વર્ષ 2018-19 દરમિયાનમાં 812 ગ્રામ સોનુ તેમજ 41 કિલો ચાંદીનું દાન ભાવિક ભક્તજનો દ્વારા આપવામાં આવ્યું છે.
બીજી બાજુ મંદિરને સોના અને ચાંદીના દાનમાં વધારો જોવા મળ્યો છે. જે મુજબ સોનામાં 121 ગ્રામનો વધારો થયો હતો, તો ચાંદીના દાનમાં આઠ કિલોનો વધારો જોવા મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશ જગત મંદિરને ભાવિક ભક્તો દ્વારા મળતા રોકડ રકમના દાનની રકમમાંથી જગત મંદિરમાં સેવા પૂજા કરતાં પૂજારીઓને 83 ટકા રકમ, અને દેવસ્થાન સમિતિને 15 ટકા રકમ ફાળવવામાં આવે છે. જ્યારે બાકીની 2 ટકા રકમ ચેરિટી કમિશનર કચેરીમાં જમા કરાવવામાં આવે છે.