Himachal Pradesh Earthquake: હિમાચલ પ્રદેશમાં સક્રિય ચોમાસા વચ્ચે બુધવારે વહેલી સવારે શિમલા અને ચંબા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઓછી તીવ્રતાના આ ભૂકંપના કારણે હાલ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શિમલામાં સવારે 5:46 વાગ્યે 4.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 31.387 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 77.787 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે.
આ પહેલા ચંબા જિલ્લામાં પણ સવારે 4:38 વાગ્યે 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા મુજબ, હાલ તમામ વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ મોટા નુકસાનની માહિતી મળી નથી.
બીજી તરફ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં 31 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલ ભારે વરસાદને લઈને કોઈ ચોક્કસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિએ હિમાચલ પ્રદેશ ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. રાજ્યના વિવિધ વિસ્તારો ભૂકંપીય ઝોન 4 અને 5માં આવે છે. ભારતીય માનક બ્યુરોના તાજેતરના ડ્રાફ્ટમાં સમગ્ર હિમાલય વિસ્તારને વધુ સંવેદનશીલ ઝોન 6માં સમાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જોકે વહીવટી સમીક્ષા બાદ હાલના ભૂકંપીય ધોરણો યથાવત રાખવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશનો ભૂકંપનો ઇતિહાસ પણ ગંભીર રહ્યો છે. વર્ષ 1905માં કાંગરા અને ચંબા વિસ્તારમાં આવેલા વિનાશક ભૂકંપમાં 10 હજારથી વધુ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને ધ્યાનમાં લેતા હાલના ભૂકંપના આંચકાઓ બાદ પણ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: લદ્દાખમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી: લેહમાં 5.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
આ પણ વાંચો: કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ, મૃત્યુઆંક 111 પર પહોંચ્યો
આ પણ વાંચો: નાસિક-સુરતમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંંધાઈ
