Vadodara News: સાવલી તાલુકાના ભગાનામુવાડા ગામમાં શિક્ષણ (Bhaganamuvada School) વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. ધોરણ 1થી 5ના આશરે 30 બાળકો કરડ નદીના કિનારે આવેલા મંદિરના ખુલ્લા શેડમાં ભણવા મજબૂર બન્યા હતા, જ્યારે આંગણવાડીના 25 જેટલા બાળકો દૂધની ડેરીમાં શિક્ષણ મેળવી રહ્યા હતા. યોગ્ય વર્ગખંડના અભાવે બાળકો વૈકલ્પિક સ્થળોએ ભણતા હોવાના દ્રશ્યો સામે આવ્યા બાદ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.
Bhaganamuvada School: મંદિરના ખુલ્લા શેડમાં ભણતા બાળકો

ભગાનામુવાડા ગામમાં શાળાનું નવું મકાન તૈયાર ન થવાના કારણે ધોરણ 1થી 5ના બાળકો માટે મંદિરના શેડમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. કરડ નદીના કિનારે આવેલા આ ખુલ્લા શેડમાં (Student Studying Temple Shed) બાળકોને પંખા, વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી ઉપલબ્ધ નહોતી. મળતી માહિતી પ્રમાણે ગામમાં નવી શાળાના મકાનને આશરે બે વર્ષ પહેલાં મંજૂરી મળી હતી. જોકે, લાંબો સમય વીતી ગયા બાદ પણ શાળાનું નવું મકાન તૈયાર થયું નથી.
તેના કારણે નાના ભૂલકાઓને યોગ્ય વર્ગખંડના બદલે અન્ય સ્થળોએ બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. માત્ર શાળાના બાળકો જ નહીં, પરંતુ ગામના આંગણવાડી કેન્દ્રના આશરે 25 બાળકોને પણ યોગ્ય જગ્યા ન મળતા દૂધની ડેરીમાં બેસાડીને ભણાવવામાં આવતા હોવાની સ્થિતિ સામે આવી હતી. શિક્ષણ અને બાળ વિકાસ માટેની પાયાની સુવિધાઓ અંગે આ સ્થિતિ ગંભીર સવાલો ઊભા કરતી હતી.
‘મંતવ્ય ન્યૂઝ’ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું
ભગાનામુવાડામાં મંદિરના શેડ નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા બાદ ‘મંતવ્ય ન્યૂઝ’ દ્વારા આ સમગ્ર મામલો અહેવાલના માધ્યમથી (Mantavya News Impact) તંત્ર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસારીત થયા બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને સમગ્ર મામલે સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
BRC, CRC અને આચાર્યે સ્થળ મુલાકાત લીધી
અહેવાલ બાદ BRC, CRC તેમજ શાળાના આચાર્ય સહિતના જવાબદાર અધિકારીઓએ ભગાનામુવાડા ગામની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ બાળકો જ્યાં અભ્યાસ કરી રહ્યા હતા તે સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. તંત્ર દ્વારા બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને તેમને નજીકની શાળામાં (School Building Gujarat) ખસેડવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી. બાળકોને યોગ્ય વર્ગખંડ અને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારણા કરવામાં આવી હતી.

જોકે, બાળકોને આશરે બે કિલોમીટર દૂર આવેલી શાળામાં મોકલવાના વિકલ્પ સામે ગ્રામજનોએ અસંમતિ વ્યક્ત કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે નાના બાળકોને રોજ આટલા અંતરે અભ્યાસ માટે મોકલવા મુશ્કેલ છે.
ગામમાં જ નવી શાળા બનાવવાની માંગ
ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે ભગાનામુવાડા ગામમાં જ નવી શાળાનું મકાન તૈયાર કરવામાં આવે, જેથી બાળકોને પોતાના ગામમાં જ સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણમાં શિક્ષણ મળી શકે. લાંબા સમયથી શાળાના મકાનની રાહ જોતા બાળકો માટે હવે આ મુદ્દે તંત્ર દ્વારા ઝડપી નિર્ણય લેવામાં આવે તેવી ગ્રામજનોની અપેક્ષા છે.
અહેવાલ બાદ હવે તંત્ર પાસે જવાબદારી
એક તરફ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અને આધુનિક સુવિધાઓની વાત કરવામાં આવે છે, ત્યારે ભગાનામુવાડા ગામમાં બાળકોને મંદિરના ખુલ્લા શેડ અને આંગણવાડીના બાળકોને ડેરીમાં ભણવું પડે તેવી સ્થિતિ સામે આવી હતી. હવે ‘મંતવ્ય ન્યૂઝ’ના અહેવાલ બાદ તંત્ર દ્વારા સ્થળ મુલાકાત અને વૈકલ્પિક વ્યવસ્થાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, ગ્રામજનોની મુખ્ય માંગ ગામમાં જ નવી શાળાનું મકાન બનાવવાની છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ માંગ પર કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો: ઓઢવની નટરાજ સ્કૂલની માન્યતા રદ થશે? DEOનો સરકારને રિપોર્ટ, 100% ગ્રાન્ટ કાપની ભલામણ
આ પણ વાંચો: ગુજરાતમાં 17 જિલ્લામાં વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકા-જામનગરમાં પાક સુકાતા ખેડૂતો પર સંકટ
આ પણ વાંચો: અમદાવાદમાં 110ની સ્પીડે પોર્શે દોડાવી: લો ગાર્ડન પાસેનો VIDEO વાયરલ, કાર જપ્ત; ચાલકની ધરપકડ
