મુંબઇ
શિવસેના બાદ તનુશ્રી દત્તા અને નાના પાટેકરના મામલામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ હવે ખુલીને સામે આવી ગઈ છે. પાર્ટીના લોનાવાલાના કાર્યકર્તાઓ તરફથી એક નિવેદન જાહેર કરીને જણાવાયુ છે કે, તનુશ્રી દત્તાની વાતોમાં કોઈ દમ નથી અને તે આવુ માત્ર પબ્લીસીટી સ્ટંટ મેળવવા માટે કરી રહી છે.
તેમજ આ દરમિયાન એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે તનુશ્રી દત્તાને રીયાલીટી શો બિગ બોસની વર્તમાન સીઝનમાં બોલાવવામાં આવી શકે છે, જેના પર પણ પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવી છે. એક નિવેદનમાં મનસેએ જણાવ્યુ છે કે, જો તનુશ્રી દત્તાને આ શોમાં બોલાવવામાં આવી તો શોનો સેટ તોડી દેવામાં આવશે.
આ પહેલા શિવસેના પણ નાના પાટેકરના સપોર્ટમાં આવી હતી. પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે પણ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, નાના પાટેકર માત્ર મરાઠી સિનેમાના અભિનેતા નથી પણ તે દેશ અને બોલીવુડમાં પોતાની પ્રતિભાનો પુરાવો આપી ચુક્યા છે. એટલે આપણે તમામે નાના પાટેકરની વાત પણ સાંભળવી જાઈએ. તેમજ તેમણે આરોપ લગાવનાર મહિલાને કાયદાકીય નોટીસ પણ મોકલી છે.