મુંબઇ,
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ ‘મણિકર્ણિકા’ પર કરણી સેનાએ દીપિકા- રણવીરની ફિલ્મ ‘પદ્માવત’ની જેમ જ વિવાદો ઉભા કરવાનું શરૂ કર્યું છે.કંગના રણોતની આ ફિલ્મ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે ત્યારે કરની સેનાએ ફિલ્મના દ્રશ્યો અને ઝાંસીની રાણીના પાત્રને લઈને સવાલો ઉભા કર્યા છે.
જો કે કરની સેનાએ ઉભા કરેલા વિવાદ પર કંગનાએ ચૂપ બેઠા વગર અવાજ ઉઠાવવાનું નક્કી કર્યુ છે.કરણી સેનાએ ફિલ્મ ‘પદ્માવત’ની જેમ ‘મણિકર્ણિકા’ ફિલ્મની રિલીઝ પર સવાલો ઉઠાવ્યા છે. જેના પર કંગના રણૌતે કરણી સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે.
કંગનાનું કહેવું છે કે, રાજપૂત સમાજની કરણી સેના તેની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધી ક્વીન ઓફ ઝાંસી’ને હેરાન કરી રહી છે .કંગના રનોતે કરણી સેનાને ચેતવણી આપતા કહ્યું છે કે, હું પણ એક રાજપૂત છું જો કોઈ પણ ફિલ્મની રિલીઝ વચ્ચે આવશે તો હું એને બરબાદ કરી નાખીશ.’
ઉલ્લેખનીય છે કે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને પ્રમાણ પત્ર પણ આપી દીધું છે. કંગના રણૌતે કહ્યું કે, ‘ચાર ઈતિહાસકારોએ ‘મણિકર્ણિકા’ને પ્રમાણપત્ર આપી દીધું છે અને અમને સેન્સર સર્ટિફિકેટ પણ મળી ગયું છે. આ વિશે અમે કરણી સેનાને વાત પણ કરી હતી, પરંતુ તેમ છતા પણ તેઓ અમને હેરાન કરી રહ્યા છે. જો કરણી સેના આવું બધું કરવાનું બંધ નહીં કરે તો તેમને પણ ખબર હોવી જોઈએ કે હું પણ એક રાજપૂત છું અને હું બધાને બરબાદ કરી નાખીશ.’