ગામડાઓ બાદ મહાનગરો અને નગરોમાં પણ જગમોહન રેડ્ડીના પક્ષે ગુજરાતમાં ભાજપને મળેલા વિજયનું પોતાના માટે પુનરાવર્તન કર્યુ
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીના પક્ષ જે વાય.એસ.આર.સી. તરીકે ઓળખાય તે પક્ષો તમામ ૧૨ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૭૧માંથી ૬૯ નગરપાલિકાઓમાં સત્તા હાંસલ કરીને વિજયની હેટ્રિક સર્જી દીધી છે. જ્યારે આંધ્રના મુખ્ય વિરોધ પક્ષ તેલુગુ દેશમ્ પાર્ટી ટીડીપી બીજા નંબરે છે. જ્યારે જનસેના ભાજપ જોડાણને સમ ખાવા પૂરતી બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ બધા સ્થળે લડી નહોતી, પરંતુ જ્યાં તેણે લડાઈ લડી છે ત્યાં ખાતું પણ ખોલી શકી નથી. જ્યારે ઔવીસીના પક્ષ એઆઈએમએમ કેટલીક વોર્ડ બેઠક જીતી છે. પરંતુ કોઈ સ્થળે સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો નથી.
જગન મોહન રેડ્ડીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં લોકસભાની મોટાભાગની અને વિધાનસભાની ૮૫ ટકા બેઠકો પર જીત સાથે વિજય કૂચનો પ્રારંભ કર્યો હતો. બે માસ પહેલા યોજાયેલી આંધ્રપ્રદેશની પંચાયતની ચૂંટણીમાં પણ ભવ્ય વિજય હાંસલ કરી ગામડાઓમાં પોતાનું વર્ચસ્વ હાંસલ કર્યું હતું. જ્યારે હવે શહેરી વિસ્તારોમાં પણ પોતાનો દબદબો જાળવી રાખી સતત જીત મેળવી નવો ઈતિહાસ સર્જી દીધો છે.
૨૦૧૪ની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ચંદ્રાબાબુ નાયડી અને ભાજપના જોડાણને બહુમતી મળી હતી. લોકસભાની મોટાભાગની બેઠકો તેમજ વિધાનસભા અને ત્યારબાદ ૨૦૧૬માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં જીત મેળવી હતી. જ્યારે મોદી મેજીક વચ્ચે જગન મોહન રેડ્ડીને પછડાટ મળી હતી. તો કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો હતો. કોંગેસ માટે આ આકરો ઘા હતો. જો કે ૨૦૧૮માં ત્રણ પેટા ચૂંટણી જીત્યા બાદ વાય.એસ.આર. કોંગ્રેસે કમબેક કર્યુ હતુ અને ૨૦૧૯ની ચૂંટણીમાં એકલા હાથે લડીને ભવ્ય વિજય મેળવ્યો હતો. લોકસભામાં તો મોટાભાગની (લગભગ તમામ) બેઠકો જીતનાર વાયઆરએસ કોંગ્રેસ સામે તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઘરભેગા થઈ ગયા હતા.
આંધ્રપ્રદેશમાં ૧૯૮૧ સુધી તો કોંગ્રેસનો દબદબો હતો. તે વખતે આંધ્ર સંયુક્ત હતું. પ્રથમ વખતે એન.ટી.રામારાવે પોતાનો કરીશ્મા દેખાડી પોતાના પક્ષ ટીડીપીને સત્તા અપાવી હતી. જોકે માત્ર આઠ વર્ષ સત્તા ભોગવ્યા બાદ પક્ષનો સ્વ. એન.ટી.આર.ના જમાઈ ચંદ્રાબાબુ નાયડુએ પક્ષનો કબજો લીધો હતો અને સતત ૧૦ વર્ષ કરતાં વધુ સમય સુધી સત્તા ભોગવી હતી. જો કે ત્યાર પછી ૧૯૯૫ આસપાસના સમયગાળામાં ફરી કોંગ્રેસ સત્તા પર આવી હતી. જો કે પાંચ વર્ષમાં કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી. છેલ્લે ૨૦૦૪ આસપાસ કોંગ્રેસની સરકાર આવી હતી અને રાજશેખર રેડ્ડી સંયુક્ત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ તેમનું હેલિકોપ્ટર અકસ્માતમાં અવસાન થયા બાદ તેમના પુત્ર જગનમોહન રેડ્ડીનો મુખ્યમંત્રી પક્ષનો દાવો સ્વીકારવાને બદલે અન્યને મુખ્યમંત્રી બનાવતા કરોડોની સંપત્તિ ધરાવતા જગમોહન રેડ્ડીએ અલગ પક્ષ સ્થાપ્યો હતો, પરંતુ તે વખતના કેન્દ્રના કોંગ્રેસી શાસને તેમની સામે વિવિધ કેસ દાખલ કરી જેલના સળીયા પાછળ પણ ધકેલી દીધા હતા. હવે જગન મોહન રેડ્ડી ૨૦૧૯માં રાજ્યમાં સત્તા મેળવ્યા બાદ હવે નબળી પડેલ ટીડીપી અને લગભગ સાફ થયેલ કોંગ્રેસના કારણે તેમણે આંધ્રમાં સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું છે.
૨૦૧૨ બાદ આંધ્રપ્રદેશનું વિભાજન થયું અને ત્યારબાદ તેલંગણા અસ્તિત્વમાં આવ્યું. અલગ તેલંગાણાના આંદોલન વખતે આંદોલનકારી સંસ્થા ટીઆરએસ રાજકીય પક્ષમાં ફેરવાઈ અને ૨૦૧૪ની ચૂંટણીમાં લોકસભાની મોટાભાગની બેઠકો અને વિધાનસભામાં બહુમતી હાંસલ કરી હતી. ૨૦૧૮ના અંત ભાગમાં તેલંગણા વિધાનસભાનું વિસર્જન કરી વહેલી ચૂંટણીનો દાવ ત્યાંના મુખ્યમંત્રી અને ટીઆરએસ નેતા ચંદ્રશેખર રાવે ખેલ્યો અને આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ટીઆરએસ સાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં તેનો ધબડકો થયો હતો. ભાજપની પણ એજ હાલત થઈ હતી. જો કે ૨૦૨૦મી પેટા ચૂંટણીમાં એક બેઠક પર જીત બાદ ભાજપે દેશમાં મુંબઈ પછી સૌથી મોટા ગણાતા હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં પણ ભાજપે ગણનાપાત્ર તાકાત વધારી છે. અને ટીઆરએસને સત્તા જાળવી રાખવા માટે ઓવૈસીના પક્ષનો સહારો લેવો પડ્યો છે.
હવે એક જમાનામાં આંધ્રપ્રદેશ કોંગ્રેસનો ગઢ હતો. ૧૦૭૭માં જ્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસની સત્તા ગઈ એ માત્ર ૧૫૦ આસપાસ બેઠકો મળી. ઉત્તર ભારતન તો લગભગ તમામ રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થયો ત્યારે આંધ્રપ્રદેશે કોંગ્રેસને મોટાભાગની બેઠકો જીતાડી વિજય અપાવ્યો હતો. હવે અત્યારે આંધ્ર અને તેમાંથી ઉદ્ભવેલા તેલંગણાએ બન્ને રાજ્યોમાં કોંગ્રેસનું અસ્તિત્વ લગભગ ખત્મ થઈ ગયું છે. તલંગણામાં તો કોંગ્રેસની થોડી ઘણી પણ હાજરી છે પરંતુ આંધ્રપ્રદેશમાં તો ગામડાથી સંસદ સુધી કોંગ્રેસનો સફાયો થયો છે.
જ્યારે તેલંગણામાં એક પેટાચૂંટણી અને હૈદરાબાદ નગર નિગમમાં મુખ્ય વિપક્ષ બનનાર ભાજપે ત્યાં પોતાની તાકાત જાળવી છે. પરંતુ આંધ્રપ્રદેશમાં તો એકલા હાથે કોઈપણ સ્તરે ભાજપની સત્તા છે જ નહિ. જો કે કોંગ્રેસે સંયુક્ત આંધ્રપ્રદેશ વખતે પોતાની તાકાતથી એકલા હાથે પણ ભૂતકાળમાં અનેક વખત સત્તા મેળવી હતી. પરંતુ ભાજપને તો ટીડીપીનો સાથ અસ્તિત્વ જાળવવા લેવો પડ્યો હતો.
આંધ્રના રાજકારણ અને સમીક્ષા કરતાં મોટાભાગના રાજકીય વિશ્લેષકો કહે છે કે દક્ષિણના આ મહત્વના રાજ્યમાં તો ભાજપનું વિજય કે સત્તા માટેનું શમણું સફળ થાય તેવી કોઈ શક્યતા નથી. માત્ર આંધ્રના વિકાસના ધ્યેય સાથે મુખ્યમંત્રી બનેલા જગમોહન રેડ્ડી કેન્દ્ર સાથે સંઘર્ષથી દૂર રહ્યા છે અને સહકારનો માર્ગ અપનાવ્યો છે. જો કે ચૂંટણી વખતે તો તે ભાજપની સામે જ હોય છે. વધુમાં ભાજપે આંધ્રમાં ફરી ૨૦૧૪ જેવો પગેપેસારો કરવો હોય તો વાયઆરએસ કોંગ્રેસ કે ટીડીપીનો સાથ લીધા વગર ચાલવાનું નથી. જ્યારે કોંગ્રેસનો તો આંધ્રમાં પોતાનો જે ભૂતકાળમાં દબદબો હતો તે પાછો મેળવા કેટલી રાહ જોવી પડે તે જ નક્કી નથી.