- વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના નુકશાન પામેલા-પડી ગયેલા બાગાયતી પાકો-ઝાડોના પૂન: સ્થાપન રિ-ઇન્સ્ટોલેશનનો ગુજરાતનો નવતર અભિગમ સાકાર થવાની દિશામાં ખેડૂતોને મળ્યું કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન
- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અભિનવ વિચારને રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના રપ૮ વૈજ્ઞાનિકોએ સતત ૧૦ થી ૧૨ દિવસ સુધી ૧ર૦૦ અસરગ્રસ્ત ગામો ખૂંદી વળી ૧૧ હજાર ખેડૂતોને માર્ગદર્શન આપી ચરિતાર્થ કર્યો
- અસરગ્રસ્ત વિસ્તારોમાં ફિલ્ડમાં જઇ ખેડૂતોનું માર્ગદર્શન કરીને આવેલા કૃષિ વૈજ્ઞાનિકોના અનુભવોના મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે આદાન-પ્રદાનની મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગરમાં યોજાઇ
- કૃષિ વૈજ્ઞાનિકોના અનુભવોના આધારે-રાજ્ય સરકાર એકશન પ્લાન ઘડશે-ખેડૂતો માટે બાગાયતી પાકોના પૂન: વાવેતર રિ-ઇન્સ્ટોલનું માર્ગદર્શન અપાશે
રાજ્યમાં તાઉતે વાવાઝોડાના પરિણામે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠા વિસ્તારોમાં નુકશાન પામેલા બાગાયતી પાકોના ઝાડ તે જ સ્થળે પૂન: સ્થાપિત રિ-ઇન્સ્ટોલ કરવાનો અપનાવેલો નવતર અભિગમ રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના રપ૮ કૃષિ વૈજ્ઞાનિકોની ૧ર૦૦ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત અને માર્ગદર્શનથી સાકાર થવાની નવી દિશા ખુલી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં આંબા, નાળિયેરી, લીંબુ, ચીકુ, કેળ, દાડમ જેવા બહુઆયુષી બાગાયતી પાકોને વ્યાપક નુકશાન થયાનું રાજ્ય સરકારની જાણમાં આવતાં જ મુખ્યમંત્રીએ રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ વૈજ્ઞાનિકોને આ અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાતા કરી નુકશાન પામેલા, મૂળમાંથી ઉખડી ગયેલા, નમી પડેલા કે થડ ફાટી ગયેલા આવા બાગાયતી વૃક્ષોને પૂન: સ્થાપિત રિ-ઇન્સ્ટોલ કરવા ખેડૂતોને મદદરૂપ થવા તત્કાલ પહોચી જવા સૂચન કર્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવા બાગાયતી પાક પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન લાંબાગાળા સુધી સહન ન કરવું પડે અને તેમના પાકના જે ઝાડ-વૃક્ષો બચાવી શકાય તેમ હોય તેને તે જ સ્થળે પૂન: સ્થાપિત કરી ધરતીપુત્રોને મદદરૂપ થવા માર્ગદર્શન આપવા આ રપ૮ જેટલા કૃષિ વૈજ્ઞાનિકોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા હતા.
વાવાઝોડું પસાર થયાના બીજા દિવસથી એટલે કે ર૦-ર૧ મી મે થી રાજ્યની દાંતીવાડા, આણંદ, જુનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના આ રપ૮ કૃષિ વૈજ્ઞાનિકો ‘‘લેબ ટુ લેન્ડ’’નો અભિગમ સાકાર કરતા આ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોચી ગયા હતા.
તેમણે સતત ૧૦-૧ર દિવસ આ અસરગ્રસ્ત વિસ્તારો ખુંદીવળી ૧૧૯પ ગામોની મુલાકાત લીધી અને અંદાજે ૧૧ હજાર જેટલા ખેડૂતોને ટેકનીકલ ગાઇડન્સ, લાઇવ ડેમોન્સ્ટ્રેશન-૧પ૮૪ નિદર્શનો કરીને તેમના બાગાયતી પાકો નાળિયેરી, આંબા, લીંબુ, ચીકુ, જામફળ વગેરેને પૂન: સ્થાપિત રિ-ઇન્સ્ટોલ કરવાનું સઘન માર્ગદર્શન આપેલું.
એટલું જ નહીં, જેમાં ખાસ કરીને મૂળમાંથી ઉખડી ગયેલા, ત્રાસાં થયેલા નમી ગયેલા, થોડા મૂળ જમીનની અંદર તેમજ થોડા મૂળ જમીનની બહાર નીકળી ગયેલા વૃક્ષોના વૈજ્ઞાનિક પદ્ધિતિથી પુન:સ્થાપન માટે આ કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, તાઉતે વાવાઝોડાથી ખેડૂતોના પાકો ખાસ કરીને બાગાયતી પાકોને જે નુકશાન થયું છે તેમાંથી તેમણે ફરી બેઠા કરવા કૃષિ વૈજ્ઞાનિકોના આ અનુભવો અને ખેડૂતોને આપેલા પ્રાથમિક માર્ગદર્શનના આધારે રાજ્ય સરકાર ટૂંકસમયમાં એકશન પ્લાન ઘડીને ખેડૂતોને ઝાડો પૂન: સ્થાપિત રિ-ઇન્સ્ટોલ કરવાની વ્યવસ્થિત માર્ગદર્શિકા ગાઇડલાઇન્સ જાહેર કરશે. આ ગાઇડ લાઇન્સ બધા જ ખેડુતો સુધી વ્યાપકપણે પ્રચાર-પ્રસારથી પહોચાડવા પણ તેમણે કૃષિ વિભાગને આયોજન કરવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વાવાઝોડાથી નાશ થયેલા કે નુકશાન પામેલા બાગાયતી પાકો સહિત અન્ય પાકો માટે આગામી ચોમાસાની ઋતુ પહેલાં ખેડૂતોને પૂરતું બિયારણ જરૂરિયાત મુજબની કલમો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કૃષિ યુનિવર્સિટીઓ સાથે મળીને રાજ્યનો કૃષિ વિભાગ કરશે.
આ હેતુસર, કૃષિ યુનિવર્સિટીની નર્સરીઓમાં આવી કલમો, છોડ મોટા પાયે તૈયાર કરવા તેમણે સૂચના આપી હતી.
કૃષિ વૈજ્ઞાનિકોએ આપેલા આ માર્ગદર્શનને પરિણામે લગભગ-લગભગ ૨૫ થી 30 ટકા બાગાયતી પાકોના ઝાડોને બચાવી રિ-ઈન્સ્ટોલ કરી શકાશે. હજુ વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તેમના બાગાયતી પાકોને થયેલું નુકશાન કે ઝાડને થયેલા નુકશાનમાંથી બેઠા કરી વૃક્ષો તે જ સ્થળે રિ-ઇન્સ્ટોલ કરી શકાય તેનું સઘન માર્ગદર્શન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તાઉ તે વાવાઝોડાની સૌથી વધુ અસર જે ચાર જિલ્લાઓ ભાવનગર, જુનાગઢ, અમેરલી, ગીર-સોમનાથમાં થઇ હતી ત્યાં રાજ્યની ચાર યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકોની ટીમે જે બગાયતી પાકોમાં નુક્સાન થયું છે તેને રિસ્ટ્રોરેશન કંઇ રીતે કરી શકાય તે વિષયે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. જે વૃક્ષ કે છોડ પડી ગયા છે તેને ટેક્નિકલી કેવી રીતે ઊભા કરી શકાય તેનું લાઇવ ડેમોન્સ્ટ્રેન્શન પણ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યું હતું. તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાની બાદ વૈજ્ઞાનિકો દ્વારા સતત ૧૦-૧૨ દિવસ સુધી ખેડૂતો સાથે રહીને બને એટલા વૃક્ષ-ઝાડ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અંદાજ મુજબ ૨૫-૩૦ ટકા વૃક્ષ-ઝાડ બચાવવામાં સફળતા પ્રાપ્ત થઇ છે અને રિ-ઇન્સ્ટોલેશન કરી શકાશે.
આ વૈજ્ઞાનિકો એ ઉના, તલાલા, ગીર-ગઢડા, ઘારી, ખાંભા, બગસરા, જાફરાબાદ અને કોડીનાર વિસ્તારોની મુલાકાત લઇને ખેડૂતોને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને પણ વૈજ્ઞાનિકો દ્વારા જરૂરી નિર્દેશન આપવામાં આવ્યા હતા. તદઉપરાંત મૌખિક અને લેખિત એડવાઇઝરી પણ ખેડૂતો માટે જાહેર કરવામાં આવી હતી.