આગામી સમયમાં નિષ્ણાતોના મતે ત્રીજી લહેર ત્રાટકવાનો અંદાજ છે અને ખાસ કરીને ત્રીજી લહેરમાં નાના બાળકોને વધુ અસર થવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.રાજકોટમાં ફરી એક વખત કોરોનાનો નવો કેસ કુમળા બાળકમાં જોવા મળતા આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે સિવિલ સુપરિટેન્ડેન્ટે કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે.
શહેરીજનોમાં ચિંતાની લાગણી
આ અંગે બાળકના પરિવાર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કોઠારીયા વિસ્તારમાં રહેતા આ બાળકને 2 દિવસ પહેલા કોરોના થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ બાળકનું કોરોનાથી મોત થતા શહેરીજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. આ મુદ્દે રાજકોટ શહેર આરોગ્ય વિભાગને કોઈ જાણ નથી. જે સ્થાનિક તંત્રમાં સંકલનનો અભાવ દર્શાવે છે. આ અંગે શહેરીજનો પ્રશ્ન કરી રહ્યા રહ્યા છે કે કોઠારીયા વિસ્તારમાં આરોગ્ય વિભાગ ક્યારે તપાસ કરશે.
કુલ કેસની સંખ્યા 42807 પર
શહેરમાં કુલ કેસની સંખ્યા 42807 પર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં ડિસ્ચાર્જની સંખ્યા 42337 થઇ છે. રિકવરી રેઇટ 98.90 નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં 13,16,720 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ પોઝિટિવ રેઇટ તળિયે આવીને 3.26 ટકા નોંધાયો છે. રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના 5985 અને 45 વર્ષથી મોટી ઉંમરના 2222 સહિત કુલ 8207 નાગરિકોએ રસી લીધી હતી.