દેવધર ચારા ઘોટાડામાં દોષી રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને કોર્ટ દ્વારા ૩.૫ વર્ષની સજા અને ૫ લાખના રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાંચીની વિશેષ CBI અદાલત દ્વારા શનિવારે આ સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ ફૂલચંદ સિંહ, મહેશ પ્રસાદ, બેક જૂલિયસ, સુનીલ કુમાર, સુધીર કુમાર અને રાજારામને પણ કોર્ટે ૩.૫ વર્ષ અને ૫ લાખના રૂપિયાના દંડની સજા ફટકારી છે.
સજાના એલાન પહેલા આ કેસના તમામ દોષી વીડિઓ કોન્ફરન્સ દ્વારા અદાલતમાં સામેલ થયા હતા અને સીબીઆઈના ન્યાયાધીશ શિવપાલ સિંહે આ સજા ફટકારી હતી. આ અંગે તેઓએ જણાવ્યું કે, “આ દોષિતો માટે ઓપન જેલ સૌથી સારી છે, કારણકે તેમને ગાય પાળવાનો અનુભવ છે”.
સજાના એલાન બાદ બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, “ન્યાયતંત્રએ તેમની ફરજ નિભાવી છે. હવે સજાનું સ્ટડી કર્યા બાદ હાઇકોર્ટમાં જઇશું અને જામીન માટે અરજી કરીશું”.
જયારે જેડીયુના સિનીયર નેતા કે સી ત્યાગીએ કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું, “અમે કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. બિહારના રાજકારણમાં આ એક ઐતિહાસિક ચુકાદો છે. આજે એક પ્રકરણનો અંત આવ્યો છે”.
મહત્વનું છે કે, આ પહેલા બુધવારે તેમજ ગુરુવારે લાલુ યાદવ સહિત બધા આરોપીઓ સજાના એલાન માટે કોર્ટ પહોચ્યા પરંતુ વકીલના મૃત્યુ અને a b c d ના ચક્કરના કારણે સજાનું એલાન ટાળી દેવામાં આવ્યું હતું.