ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાત એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં મૂકવા જઇ રહ્યો છે.ગુજરાતમાં લવ જેહાદ વિરોધી કાયદો ૧૫ જૂનથી અમલી થશે તેવો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધો છે. આ કાયદા હેઠળ માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી બળજબરી તેમજ છેતરપિંડીથી થયેલા લગ્ન કોર્ટ દ્વારા રદ કરાશેગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં હવે આગામી તા.૧પ જૂનથી રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-ર૦ર૧ અમલી કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન અને, અથવા લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ, ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.
આ અંગે સાબિત કરવાનો ભાર આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે. ગુનો કરનાર અને કરાવનાર તેમજ મદદ કરનાર, સલાહ આપનાર તમામ સમાન પ્રકારે દોષિત ગણાશે.આમ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં લવજેહાદ જેવી પ્રવૃત્તિઓ – ગતિવિધિઓ અને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્ન કે લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સહિતની બાબતો માટે હવે આ અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
કાયદાની જોગવાઈ અને સજા
1. આ કાયદાની જોગવાઇનું ઉલ્લંઘન કરનારને ૩ વર્ષથી ઓછી નહિ અને ૫ વર્ષ સુધીની કેદ અને રૂ.૦૨ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે. પરંતુકમાં, સગીર, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં સજાની જોગવાઇ ૪ થી ૭ વર્ષ સુધીની કેદ અને રૂ.૩ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે. આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે તેમજ આવી સંસ્થાને ૩ વર્ષથી ઓછી નહીં અને ૧૦ વર્ષ સુધીની કેદ તથા રૂ.૦૫ લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ તારીખથી રાજ્ય સરકાર દ્વારા નાણાકીય મદદ, અનુદાન મળવાપાત્ર થશે નહીં.
2. કોઇ નારાજ થયેલી વ્યક્તિ, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વરૂપે હોય તેવી બીજી કોઇ વ્યક્તિ દ્વારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે એફઆઈર દાખલ કરાવી શકાશે.
3. આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ ડીએસપીથી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.
4. બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૩ વર્ષ સુધીની કેદ અને ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ. સગીર, સ્ત્રી, અનુસૂચિતજાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૪ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ.
5. ધર્મ પરિવર્તનની ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી. જિલ્લા મેજીસ્ટ્રેટે તપાસ પછી ૧ મહિનાની અંદર પરવાનગી આપવી કે ઇન્કાર કરવો. ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી ન મેળવી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા કેદ તેમજ દંડ બન્નેની જોગવાઈ કરાઈ છે.
6.ધર્મ પરિવર્તન કરનારે ધર્મ પરિવર્તનની વિધિની તારીખથી ૧૦ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટને જાણ ન કરી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર રૂપિયા સુધીનો દંડ અથવાકેદ તેમજ દંડ બન્નેની જોગવાઈ કરાઈ છે.
7.ગુનાની કોઇપણ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના શરૂ કરી શકાશે નહી.
8. આ કાયદા હેઠળના ગુના પોલીસ અધિકાર હેઠળના ગુના ગણાશે તેમજ તેની તપાસ પીઆઇથી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.