Nari Shakti Vandan Sammelan Gandhinagar: “નારી તું નારાયણી”ના મંત્રને સાર્થક કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ને વેગ આપવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘નારીશક્તિ વંદન સંમેલન’ યોજાયું હતું. આ સંમેલનમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ એ માત્ર કાયદો નથી, પરંતુ ભારતીય લોકશાહીના ઇતિહાસનું એક ક્રાંતિકારી અને ઐતિહાસિક પગલું છે જે મહિલાઓને નીતિ-નિર્ધારણમાં નિર્ણાયક ભૂમિકા અપાવશે.
વિધાનસભાથી સંસદ સુધી મહિલાઓની 33 ટકા ભાગીદારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનની નેમ છે કે મહિલાઓ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જાહેર જીવનમાં સક્રિય બને. વિધાનસભા અને સંસદમાં મહિલાઓને મળનારી 33 ટકા અનામતથી શાસન વ્યવસ્થામાં વધુ સંવેદનશીલતા, પારદર્શિતા અને સંતુલન આવશે. તેમણે ગૌરવ સાથે ઉમેર્યું કે, ગુજરાત હંમેશા નારી સશક્તિકરણનું પ્રણેતા રહ્યું છે અને રાજ્યમાં એક દાયકા પહેલા જ પંચાયતી રાજમાં મહિલાઓને 50 ટકા અનામત આપીને તેમને નિર્ણાયક શક્તિ સોંપવામાં આવી છે.

સરકારી યોજનાઓથી ૨૫ કરોડ લોકો ગરીબી મુક્ત
સંમેલન દરમિયાન મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કર્યો:
PMJAY યોજના: ગંભીર બીમારીઓ સામે સુરક્ષા કવચ અને સારવાર બાદ ઘરે જવા માટે ₹300ની સહાય.
ઉજ્જવલા યોજના: ધુમાડા મુક્ત રસોડાથી લાખો બહેનોના સ્વાસ્થ્યમાં સુધારો.
નમો ડ્રોન દીદી અને લખપતિ દીદી: બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર અને ગૌરવપૂર્ણ જીવન આપતી યોજનાઓ.
મુખ્યમંત્રીએ નોંધ્યું કે આ યોજનાઓના સફળ અમલથી દેશમાં 25 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે.

સમાજની પ્રેરક Nari Shaktiની ઉપસ્થિતિ
આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
મેયર મીરાબેન પટેલ: તેમણે જણાવ્યું કે શિક્ષણ, આરોગ્ય અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલાઓ આજે રાજ્યની પ્રગતિમાં સહભાગી બની છે.
પદ્મશ્રી રમીલાબેન ગામીત: ગ્રામીણ પૃષ્ઠભૂમિ હોવા છતાં 162 સ્વ-સહાય જૂથો દ્વારા મહિલાઓને આર્થિક રીતે સદ્ધર કરવાના તેમના ભગીરથ પ્રયાસોની વિગતો આપી હતી.
ધારાસભ્ય રીટાબેન પટેલ: તેમણે ‘સશક્ત નારી, સશક્ત સમાજ’નો નારો આપતા મહિલાઓને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા આહવાન કર્યું હતું.
ઉષા જયસ્વાલ (FICCI): તેમણે મહિલાઓને માત્ર સહભાગી નહીં પણ લીડર્સ અને ‘ચેન્જ મેકર્સ’ તરીકે ઓળખાવ્યા હતા.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે નારીશક્તિ ખભેખભા મિલાવીને આગળ વધશે તો 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નું લક્ષ્ય ચોક્કસ સાકાર થશે. આ સંમેલનમાં સખી મંડળની બહેનો, ઉદ્યોગ સાહસિકો અને મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ પણ વાંચો: ખડગેના ‘અભણ’ વાળા નિવેદન પર CM ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર
