વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પેચ અંગે ઇંગ્લેન્ડ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે ગુજરાતના ક્રિકેટ રસિકો સહિત ભારતીય ચિંતામાં વધારો થયો હતો.ત્યારે ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેની વચ્ચે હવેઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈને GCA માટે રાહતના સમાચાર છે. આ રાહતનું કારણ છે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી અને ચર્ચાસ્પદ બનેલી ત્રીજી ટેસ્ટ મેચ. આ પિંક બોલ ટેસ્ટનીપીચ અને આઉટફિલ્ડને ICCએ ‘એવરેજ’ રેટિંગ આપ્યું છે. એટલે કે, હવે તેના પર કોઈ પ્રતિબંધ લાગશે નહીં.આ સમાચાર પ્રાપ્ત થતાં જ ગુજરાતના ક્રિકેટ વર્તુળોમાં તેમજ ક્રિકેટ રસિયાઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
ક્રિકેટના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સામાન્ય રીતે દરેક મેચ બાદ પીચ અને આઉટફિલ્ડને પાંચ પ્રકારના રેટિંગ મળે છે. વેરી ગૂડ, ગૂડ, એવરેજ, પૂઅર અને અનફિટ.નિયમ મુજબ કોઈપણ ઈન્ટરનેશનલ વનડે, ટેસ્ટ અથવા તો T-20 મેચ પૂરી થયા બાદ પિચ અને આઉટફિલ્ડનો રિપોર્ટ આપવો ફરજિયાત છે. મેચ રેફરી પોતાની માર્ક સાથે ICCને રિપોર્ટ આપે છે. અમદાવાદ ટેસ્ટના મેચ રેફરી પૂર્વ ક્રિકેટર જવગલ શ્રીનાથ હતા, તો તેમણે જ ICCને રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટને આધારે ICC પિચ અને આઉટફિલ્ડના રેટિંગ જે તે ક્રિકેટ બોર્ડ સાથે શૅર કરે છે. આ રેટિંગને આધારે સુધારા-વધારા સાથે જ આગામી મેચ માટે પિચ તૈયાર કરવામાં આવે છે.
આ ઉપરાંત ICCના નિયમ મુજબ જે પિચ પર બોલ અને બેટનો બરાબર મુકાબલો ન થાય તેને ખરાબ પિચ માનવામાં આવે છે. અથવા તો બેટ્સમેનને સૌથી વધુ ફાયદો મળે અને બોલર્સને કોઈ મદદ ન મળે. અથવા તો માત્ર બોલર્સ જ હાવી થઈ જાય અને બેટ્સમેન રન જ ના બનાવી શકે. આ ઉપરાંત કોઈ પિચ પર બોલ અસમાન રીતે ઉછળતો હોય તેને પણ ખરાબ પિચ ગણવામાં આવે છે. 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં શરૂ થયેલી ટેસ્ટ લગભગ દોઢ દિવસમાં જ સમેટાઈ ગઈ હતી. નિર્ધારિત 2,700 બોલની ટેસ્ટ મેચનું 842 બોલમાં જ પરિણામ આવી ગયું હતું. વર્ષ 1935 પછી એટલે કે, છેલ્લા 75 વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે, સૌથી ઓછા સમયમાં જ ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ. ભારત અને ઈંગ્લેન્ડ જેવી ટીમો હોવા છતાં બન્નેના થઈને માત્ર 387 રન જ બન્યા હતા. આ ટેસ્ટમાં 30 પૈકી 28 વિકેટ સ્પિનરને મળી હતી, અને કોઈ ટીમ એક ઈનિંગમાં 150 રન બનાવી શકી ન હતી. આ જ કારણથી પિચની આકરી ટીકા થઈ હતી અને પ્રતિબંધની માગ પણ ઊઠી હતી.
આમ પીચ અંગેના વિવાદ બાદ અમદાવાદની પીચને બીલોવ એવરેજ રેટિંગ મળવાની શક્યતા હતી, જો કે, ICCએ એવરેજ રેટિંગ આપતાં હવે પીચ અંગે કોઈ જ એક્શન લેવાશે નહીં. ICCએ એવરેજ રેટિંગ આપતાં ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.જો કોઈ પીચને પૂઅર રેટિંગ મળે તો તેને ત્રણ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવે છે. જ્યારે અનફિટના રેટિંગમાં પાંચ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવે છે. આ ડિમેરિટ પોઈન્ટ્સ પાંચ વર્ષ સુધી પ્રક્રિયામાં રહે છે. જો કોઈ પીચને 5 ડિમેરિટ પોઈન્ટ મળે તો તે મેદાનમાં એક વર્ષ સુધી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાડી શકાતી નથી. ડિમેરિટ પોઈન્ટ દસ હોય તો બે વર્ષ સુધી ઈન્ટરનેશનલ મેચ પર પ્રતિબંધ રહે છે.આ સમાચાર પ્રાપ્ત થતાં જ ગુજરાતના ક્રિકેટ વર્તુળોમાં તેમજ ક્રિકેટ રસિયાઓમાં આનંદની લાગણી પ્રસરી છે.