તમે એ તો સાંભળ્યું હોય છે આપણા શરીરમાં સારા બેક્ટેરિયા અને ખરાબ બેક્ટેરિયા એમ બંને પ્રકારના બેક્ટેરિયા જોવા મળતા હોય છે. પરંતુ ઘણી વખત આ વધુ પડતા ખરાબ બેક્ટેરિયા જીવલેણ સાબિત થઈ શકે છે. અને ત્યારે એન્ટિબાયોટિક્સનો ગોળીઓ આપવામાં આવે છે. ત્યારે આ બેક્ટેરિયાથી સુરક્ષિત રાખતી એન્ટિબાયોટિક્સ પર ઈઝરાયલના વૈજ્ઞાનિકોનું રિસર્ચ ચોંકાવનારું છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો બાળકને જન્મના 15 દિવસની અંદર એન્ટિબાયોટિક આપવામાં આવે છે તો 6 વર્ષની ઉંમર સુધી તેમના શરીરનો વિકાસ ધીમો થઈ શકે છે. તેનું વજન અને લંબાઈ સામાન્ય કરતા ઓછી હોઈ શકે છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવું માત્ર છોકરાઓમાં થશે, છોકરીઓમાં નહીં. આ દાવો ઈઝરાયલની બાર-ઈલન યુનિવર્સિટીએ તેમના રિસર્ચમાં કર્યો છે. જન્મથી 28 દિવસ સુધીના બાળકને નવજાત કહેવામાં આવે છે.
નવજાતની ઈમ્યુન સિસ્ટમ કમજોર હોય છે
જન્મના શરૂઆતના દિવસમાં એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે તો તેની સીધી અસર તેના વિકાસ પર પડે છે. પરંતુ 28 દિવસથી વધારે ઉંમરના બાળકો પર દવાઓનું આવું જોખમ નથી જોવા મળ્યું. સંશોધક ઓમરી કોરિયનના જણાવ્યા પ્રમાણે, નવજાતમાં બીમારીઓ સામે લડતી ઈમ્યુનિ સિસ્ટમ કમજોર હોય છે. તેના કારણે તેમને સંક્રમણનું જોખમ વધારે હોય છે, તેથી તેમને એન્ટિબાયોટિક્સની જરૂર પડે છે. એન્ટિબાયોટિક્સ નવજાત શિશુઓનું જીવન બચાવવાતી દવા છે, પરંતુ રિસર્ચના પરિણામ દર્શાવે છે કે આ દવાઓથી ભવિષ્યમાં જોવા મળતી અસરને પણ સમજવાની જરૂર છે.
તો જોખમ ક્યાં છે?
રિસર્ચના અનુસાર, જન્મના શરૂઆતના સપ્તાહમાં નવજાતને એન્ટિબાયોટિક્સ દ્વારા બેક્ટેરિયાથી થતા સંક્રમણથી બચાવવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નવજાતને એન્ટિબાયોટિક્સ આપવાથી તેના શરીરમાં ફાયદો પહોંચાડતા બેક્ટેરિયા પર ખરાબ અસર પડે છે.
બેક્ટેરિયા પર બેઅસર થઈ રહેલી એન્ટિબાયોટિક્સ
જ્યારે બેક્ટેરિયાથી થતા ઈન્ફેક્શન પર જરૂર કરતા વધારે એન્ટિબાયોટિક્સ દવાઓનો ઉપયોગ થાય છે તો એવા બેક્ટેરિયા ખાસ પ્રકારની રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત કરી લે છે. આવું થવાથી દવાઓ તેના પર બેઅસર થવા લાગે છે. તેને એન્ટિમાઇક્રોબાયલ રેસિસ્ટન્સ (AMR) કહેવામાં આવે છે. તે દર્શાવે છે કે બેક્ટેરિયાએ દવાની વિરુદ્ધ તેની રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત કરી લીધી છે.
એન્ટિબાયોટિક્સ સંબંધિત આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ
- દવાઓ ડૉક્ટરની સલાહ પર જ લેવી અને સમય સર લેવાની આદત પાડવી.
- એન્ટિબાયોટિક્સનો ઉપયોગ માત્ર બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવા માટે થાય છે વાયરલ ઈન્ફેક્શન માટે નહીં.
- શરદી, ઉધરસ, તાવ અથવા માથાનો દુખાવો થવાના પહેલા જ દિવસે દવાઓ ન લેવી.
- ઘરમાં પહેલાથી રાખેલી દવાઓનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.