Vadodara News : ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલાં જ રાજ્ય સરકાર (Gujarat Government) સંપૂર્ણ તૈયારીના મૂડમાં જોવા મળી રહી છે. વરસાદી મોસમ દરમિયાન શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય નહીં અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને વરસાદી પાણી (Rainwater)ના ઝડપી નિકાલ માટે કડક સૂચનાઓ આપી છે.
સરકારના નિર્દેશ બાદ Vadodara Municipal Corporation (VMC) પણ હરકતમાં આવ્યું છે. શહેરમાં પ્રી-મોન્સૂન (Pre Monsoon)કામગીરીને વેગ આપવામાં આવ્યો છે અને વરસાદી પાણીના નિકાલ માટે વિશેષ આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ચાર કલાકની અંદર પાણી ઉતરી જાય છે. જોકે, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં આ સમયગાળો આઠ કલાક કે તેથી વધુ રહેતો હોવાથી સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને શહેરના તમામ વોટર લોગિંગ પોઇન્ટ્સની ઓળખ કરવામાં આવી છે. આવા સંવેદનશીલ વિસ્તારો માટે અલગથી ડેડિકેટેડ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે વરસાદ દરમિયાન સ્થળ પર હાજર રહી પાણીના ઝડપી નિકાલની કામગીરી કરશે.
વરસાદી પાણી ((Rainwater)) ભરાઈ ન રહે તે માટે કોર્પોરેશને માઇક્રો ટનલ પ્રોજેક્ટ કાર્યરત
વધુમાં, શહેરમાં લાંબા સમય સુધી વરસાદી પાણી ((Rainwater)) ભરાઈ ન રહે તે માટે કોર્પોરેશને માઇક્રો ટનલ પ્રોજેક્ટને પણ કાર્યરત કરી દીધો છે. આ આધુનિક પ્રોજેક્ટ દ્વારા વરસાદી પાણીને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ મારફતે ઝડપથી મુખ્ય લાઈનો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોર્પોરેશને કંટ્રોલ રૂમને પણ સક્રિય કરી દીધો છે અને તમામ ઝોનના અધિકારીઓને વરસાદી પાણી ભરાવાની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તંત્રનો દાવો છે કે આ વખતે ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં આવશે.
