Valsad News : વલસાડ ધરમપુર તાલુકાના એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની કોરવાડ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં 79 વર્ષીય કાશીરામ શિંગાડાની તેમના જ પૌત્ર કમલેશે હત્યા કરી નાખી. પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી આરોપી પૌત્રની ધરપકડ કરી છે, જે હાલમાં એક દિવસના રિમાન્ડ પર છે.
ધરમપુરના અંતરિયાળ નાની કોરવડ ગામમાં હોળીની રાત્રે કાશીરામ શિંગાળા પર તેમના ઘરમાં જ જીવલેણ હુમલો થયો હતો. વહેલી સવારે તેમના પૌત્ર કમલેશને જાણ થતા તેણે ગંભીર હાલતમાં દાદાને પ્રથમ ધરમપુર અને ત્યારબાદ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જો કે, સારવાર દરમિયાન કાશીરામનું મોત નીપજ્યું હતું. બાદમાં પૌત્ર કમલેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી અને ટૂંક સમયમાં જ ચોંકાવનારો ખુલાસો થયો. ફરિયાદી અને મૃતકના પૌત્ર કમલેશ શિંગાળા જ હત્યારો નીકળ્યો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કાશીરામ શિંગાળા ગામમાં ભગત ભુવા તરીકે જાણીતા હતા અને તંત્ર મંત્રની વિધિઓ કરતા હતા. તેમનો પૌત્ર કમલેશ પણ તેમની પાસેથી આ વિધિઓ શીખી રહ્યો હતો.
હોળીના દિવસે, કમલેશે દાદાને બદલે પોતે હોળી પ્રગટાવવાની વિધિ કરવા જવાની વાત કરી હતી, જેના કારણે બંને વચ્ચે વિવાદ થયો હતો. ગામ લોકોએ પણ કાશીરામને જ વિધિ કરવાનું કહેતા કમલેશને માઠું લાગ્યું હતું. આથી તેણે દાદાને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું. હોળીની રાત્રે જ્યારે ગામ લોકો ઉત્સવમાં મશગૂલ હતા, ત્યારે કમલેશ ઘરના પાછળના બારણેથી અંદર ગયો અને દાદાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. દાદા બેભાન થઈ ગયા બાદ કમલેશને લાગ્યું કે તેમનું મોત થઈ ગયું છે, તેથી તે પાછો જતો રહ્યો. પરંતુ વહેલી સવારે જ્યારે તેને ખબર પડી કે દાદા જીવિત છે, ત્યારે તેણે જ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા.
પોલીસની પૂછપરછમાં કમલેશે ગુનો કબૂલ્યો હતો. તેણે જણાવ્યું કે દાદા તેને તંત્ર મંત્રની બધી વિદ્યાઓ શીખવતા ન હતા અને ગામમાં તેમને વધારે મહત્વ મળતું હતું, જેના કારણે તેના મનમાં અસંતોષ હતો. હોળી પ્રગટાવવાની વિધિના વિવાદે તેને ઉશ્કેર્યો અને તેણે દાદાની હત્યા કરી નાખી. આમ, પૌત્રનું પાપ આખરે સામે આવ્યું અને પોલીસે તેની ધરપકડ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ભગત ભુવાની વિધિમાં અસંતોષ અને ઈર્ષાના કારણે એક પૌત્રે પોતાના જ દાદાની હત્યા કરી નાખતા સંબંધોની પવિત્રતા પણ કલંકિત થઈ છે. હવે કમલેશને તેના કૃત્યની સજા ભોગવવી પડશે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં