માતૃત્વ : ભાવિની વસાણી
દરેક માતા-પિતા પોતાના બાળકના ઉછેર કરવામાં કોઇ કમી રાખતા નથી આમ છતાં દાદા-દાદીની જગ્યા છે તે કોઇ લઈ શકતું નથી. દાદા-દાદી માટે બાળકો જીવંત રમકડા હોય છે જ્યારે બાળકો માટે સૌથી શ્રેષ્ઠ મિત્રો મિત્રો અને શિક્ષક દાદા-દાદી જ હોય છે. દાદા-દાદીની સાથે રમત રમતમાં બાળકો ગણિતના ઘડિયા થી માંડીને સંસ્કૃત શ્લોક અને વિવિધ ભાષામાં કવિતાઓ યાદ રાખી લેતા હોય છે. આ સાથે જ અખબાર વાંચવાનું પણ શીખી લે છે. ઘડિયાળમાં નાના કાંટા અને મોટા કાંટાની સમજ મેળવી સમય જોવાથી લઈ અને વાર્તાઓ સંભળાવવા માટે કલ્પના શક્તિ ખીલવવાનું બાળકો શીખી જાય છે. ફૂલ અને છોડની માવજત કરવાની સાથે કુદરતને પ્રેમ કરવાની અને બીજાને મદદ કરવાની શીખ પણ બાળકો મેળવી લેતા હોય છે. દાદા-દાદી સાથેનો સંબંધનું મહત્વ આમ તો શબ્દોમાં વર્ણન કરવા બેસીએતો ઓછું પડે તેમ છતાં અહીં કેટલાક મુદ્દાઓ દર્શાવ્યા છે કે જે સંતાન ઉછેર માટે દાદા-દાદીની રહેલી મહત્તા વિશે પ્રકાશ પાડે છે.
* પોતાના જીવનના અનુભવને વાર્તાના માધ્યમ દ્વારા દાદા-દાદી બાળકોની સાથે શેર કરે છે. જેના દ્વારા બાળકો ઘણું બધું શીખી જતા હોય છે.
* દરેક મુશ્કેલીમાં દાદા-દાદી આસાનીથી હલ શોધી લેતા હોય છે. જેના કારણે બાળકો પણ મોટી-મોટી મુશ્કેલીઓનો સામનો ધૈર્યપૂર્વક કરવાનું શીખી જાય છે.
* જીવન ઘડતરના પાઠ બાળકો દાદા-દાદી પાસેથી જ શીખતા હોય છે. ભગવાનની પૂજા કરવી, મોટારાઓનું સન્માન કરવું, સંબંધો નિભાવવા, નાના બાળકો સાથે પ્રેમથી વાત કરવી અને રિવાજ તથા સંસ્કૃતિ તમામ બાળકો પોતાના દાદા-દાદી સાથે જ શીખે છે.
* દાદા દાદી બાળકોના પ્રેરણાસ્ત્રોત હોય છે. તેઓનો વ્યવહાર,સિદ્ધાંતો અને મૂલ્યો દ્વારા જ તેઓ ઘણું બધું શીખી જતા હોય છે.
*આજના બાળકોમાં સંયમ જોવા મળતું નથી ત્યારે તેમની ડિમાન્ડ પર માતા-પિતા તેઓને તરત જ કોઈપણ ચીજ અપાવતા હોય છે, એવામાં દાદા-દાદી જ બાળકોને સંયમ રાખવાનો પાઠ શીખવી શકે છે. જે પરિવારજનોના મનની શાંતિ માટે બહુ જરૂરી છે.
*દાદા-દાદી પાસે ઘણી બધી સારી સારી વાર્તાઓ અને કવિતાઓનો ખજાનો હોય છે. જેના દ્વારા બાળકોના વ્યક્તિત્વમાં નિખાર આવી જાય છે. પોતાની વાર્તાઓ દ્વારા તેઓ સારી આદતો અને પોતાના પરિવાર સાથે કઈ રીતે હળી મળીને રહેવું જોઈએ તે શીખવતા હોય છે. આ ઉપરાંત પોતાની ચીજ-વસ્તુઓ બીજા સાથે શેર કરવાનું શીખવે છે. વાર્તા સાંભળતા અને સંભળાવતા બાળકોની વિચાર શક્તિ અને સમજ શક્તિ પણ વધે છે.
* આજે વિભક્ત કુટુંબમાં રહેતા માતા-પિતા કોઈ કારણસર અન્ય શહેરમાં રહેતા હોય ત્યારે બાળકોને ઉછેરની જવાબદારી આયા પર આવી જાય છે પરંતુ બાળકોને શ્રેષ્ઠ દેખરેખની જરૂર હોય છે. ત્યારે બાળકો દાદા-દાદીના સંપર્કમાં રહે તે જોવાની જવાબદારી માતા-પિતાની હોય છે.
* જ્યારે પરિવારમાં રહેતા હોય ત્યારે માતા-પિતા પોતાની બીઝી લાઈફના કારણે પોતાના બાળકો પર પૂરતું ધ્યાન નહીં નથી આપી શકતા એવામાં દાદી-દાદા ઘણી બધી ખાલી જગ્યાઓ પૂરી દેતા હોય છે. તેઓ બાળકોની દેખભાળ કરવાની સાથે સાથે તેમના સારા મિત્ર પણ બની જતા હોય છે.