ધાર્મિક ઉત્સવો બંધ – રાજકીય ઉત્સવો ચાલુ
ગુજરાત સરકારના આદેશથી ફાગણ સુદ પૂનમના સમયગાળામાં જગપ્રસિધ્ધ તીર્થધામ ડાકોર ખાતે યોજાતો મેળો રદ્દ કરવાની અને અમદાવાદ સહિતના સ્થળોએથી ડાકોર જતી પદયાત્રાઓ પર રોક લગાવાઈ છે આ પહેલા જૂનાગઢ ખાતે શિવરાત્રીના મેળા પર પણ રોક લગાવાઈ હતી જો કે માત્ર સાધુ સંતોની હાજરીમાં ભવનાથ મંદિરે મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂનાગઢ ખાતે લીલી પરિક્રમા અને સોમનાથ ખાતે કાર્તિકી પૂનમનો મેળો પણ રદ કરવામાં આવ્યો હતો તે હકિકત છે જો કે આજ સમયગાળામાં રાજકીય કાર્યક્રમો ચૂંટણી બેફામ પણે યોજાઈ છે અને સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા સતત ઉડતા રહ્યા છે તે પણ હકિકત છે આ પહેલા તમામ ધર્મના લોકો ૨૦૨૦ના માર્ચ બાદ પોતાના તહેવાર ઉજવી શક્યા નથી તે પણ એક હકિકત છે.
જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે સાધુ – સંતો વહિવટી તંત્ર અને મેળાના આયોજન કરવામાં અગ્રેસર રહેતા આગેવાનોની બેઠક બોલાવી અને તેમાં કોરોનાના સંભવિત ભયનું ચિત્ર રજૂ કરીને પ્રાચીન અને સંસ્કૃતિની પરંપરાના પ્રતિક ગણાતા મહાશિવરાત્રીના મેળો માત્ર સાધુ સંતો પૂરતો જ થશે. યાત્રાળુઓને પ્રવેશ નહીં મળે ટૂંકમાં સરકારી ભાષામાં કહીએ તો પૂજન અર્ચન સંતો દ્વારા થશે બાકી મેળો નહિ ભરાય.
૨૦૨૦ના માર્ચ માસમાં તેવો આદેશ બહાર પડ્યો અને તેનો અમલ પણ થયો છે.
પરંતુ આની સામે હજી કોરોનાનો કહેર બંધ નહોતો થયો ત્યારે રાજ્યસભાની ૩ બેઠકોની ચૂંટણી યોજાઈ. તો કોરોનાના કેસો વધવાની પ્રક્રિયા થંભી નહોતી ત્યાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ. નવસારીના સાંસદ સી.આર.પાટીલ ભાજપા પ્રદેશ પ્રમુખ બન્યા અને આખા રાજ્યમાં ફર્યા તેના કાર્યક્રમોમાં સોશ્યલ ડિસ્ટન્સના છડેચોક ધજાગરા થયા. જ્યારે મહાનગરોના પ્રચાર સમયે સામાજિક કાર્યક્રમોના આયોજનમાં સામાન્ય છૂટછાટ અપાઈ પણ રાજકારણીઓને બધી છૂટ હતી જેનો ભાજપ અને કોંગ્રેસ બન્નેએ ભરપૂર લાભ લીધો. મહાનગરની ચૂંટણીમાં ભાજપે વિજયોત્સવ ઉજવી આતશબાજી પણ કરી પણ આ તમામ પ્રસંગોમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. સુરત મહાનગરપાલિકામાં ખાતુ ખોલી ૨૭ બેઠકો મેળવનાર આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહારેલી કે જેને આભાર રેલી પણ કહેવામાં આવે છે. તેમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા. રેલીમાં જીપમાં બેઠેલા અને આજુબાજુ નાચતા લોકો – કાર્યકરો માસ્કવગરના જોવા મળ્યા તો બીજી બાજુ જાહેરસભામાં પણ લગભગ આવી જ સ્થિતિ જોવા મળી.
જિલ્લા અને તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલા કાર્યક્રમો યોજાયા તે તમામ સ્થળે જાણે કે ગુજરાત કોરોના મુક્ત થઈ ગયું હોય તે રીતે રાજકારણીઓએ કોરોનાની ગાઈડલાઈનનો ખૂલ્લેઆમ ભંગ કર્યો. બજારમાં માસ્ક ગળા નીચે પહેરનાર પાસેથી રૂા.૧૦૦૦નો દંડ વસૂલ કરનારા તંત્રે તો જો કે પીળો પરવાનો મળ્યો હોય તેવા રાજકારણીઓ પાસેથી એક રૂપિયાના દંડની વસૂલાત કરી નથી. ગુજરાતમાં ૨૦ દિવસ પહેલા કોરોનાના કેસોનો આંક ૧૯૦થી નીચે ઉતરી ગયો હતો જ્યારે છેલ્લા એક સપ્તાહથી રોજના ૪૦૦ થી વધુ કેસો રાજ્યમાં નોંધાઈ રહ્યા છે આ કાંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય.
હવે મહાનગરોની ચૂંટણી દરમિયાન અને ત્યારબાદ જે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો તે મામલે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઈકોર્ટે પણ રાજકારણીઓની ટીકા કરી છે. પણ છતાં જિલ્લા તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં ભાજપને જે ભવ્ય વિજય મળ્યો તેની કમલમથી શરૂ કરી ગ્રામ્ય કક્ષાએ જે ઉજવણી થઈ ત્યાં પણ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ એ બન્નેનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અપક્ષો કે અન્ય લોકો પણ જ્યાં જીત્યા ત્યાં આજ પ્રકારનો દેખાવ ઉભો થયો છે. કોરોનાના નિયમો લાગુ જ પડતા નથી તેવું માની રાજકારણીઓ બન્યા છે ‘દવાઈ ભી ઔર કડકાઈ ભી’ની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્રને પણ તમામ રાજકારણીઓ ભૂલી ગયા હોય તેવું લાગે છે. મહાનગરની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો અને જિલ્લા તાલુકા પંચાયતો અને નગર પંચાયતનો પ્રચાર પડઘમ બંધ થયો ત્યાં સુધીના ૧૪ દિવસના સમયગાળામાં કોરોનાના રોજના ૨૦૦ કેસોનો આંક વધીને રોજના ૪૫૧ સુધી પહોંચી ગયો છે. વેક્સીનેશન અભિયાનના બે તબક્કા પૂર્ણ થયા ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ છે. આ એક અત્યંત દુઃખદ ઘટના કહી શકાય. બીજી માર્ચે સ્થાનિક ચૂંટણી પરિણામોની ઉજવણી વખતે પણ કોવિદ-૧૯ના નિયમોનો ઉલાળીયો કરવાની પરંપરા આ મહાનુભાવોએ ચાલુ જ રાખી હતી. ઠેર ઠેર હજારોનું ટોળુ અને તેમાં મોટા ભાગના માસ્ક વગરના ચહેરાઓ જ જોવા મળતા હતા.
આ બધી વાત એટલા માટે કરવી પડે છે કે નવરાત્રી ઉત્સવ ગીરનારની પરિક્રમા કે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા સહિતના કાર્યક્રમો જે સરકાર બંધ રખાવી શકતી હોય તેનું કારણ પણ કોરોનાના વધતા કેસો જ હોવાનું કહેવાતું હોય તો પછી આ તંત્રો આવા રાજકીય તમાશાઓ પર પ્રતિબંધ કેમ ન લગાવ્યો. આરોગ્ય અને બંધારણના નિષ્ણાતો પણ કહે છે કે જો રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી ન યોજાઈ હોત તો સત્તાધારી પક્ષ કે વિપક્ષ એ બેમાંથી કોઈની હાલતમાં ફેર પડવાનો નહોતો. ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણી થોડી મોડી યોજી હોત તો સરકારની સ્થિરતાને જરા પણ વાંધો આવવાનો નહોતો. કોરોનાની સંપૂર્ણ વિદાયની મુદત કહેવાય છે તે એપ્રિલ કે મે માસ સુધી સ્થાનિક ચૂંટણી મોકુફ રાખી હોય તો કોઈ મોટુ આભ તૂટી પડવાનું નહોતું. રાજકારણીઓને પોતાનો ચૂંટણી ઉત્સવ ઉજવવાની છૂટ પણ પ્રજાને પોતાના ધાર્મિક તહેવારો ઉજવવાની છૂટ નહીં. લોકોએ ઘરમાં ધાર્મિક તહેવારો ઉજવવાના પણ રાજકારણીઓને જાહેર મેદાનમાં આવી ગમે તે રીતે નિયમોના ઉલાળીયા કરવાનો પીળો પરવાનો એ બાબત કોઈ રીતે બંધ બેસતી નથી.
સમાજનો કોઈ વર્ગ આંદોલન કરે તો તેની સામે એપીડેમીક એક્ટ સહિતના કાયદાની તલવાર વીંઝી રોકવાનો પ્રયાસ થાય જીવન જરૂરી ચીજોના ભાવ વધારા સામે દેખાવો કરનારાઓને જેલના સળીયા પાછળ ધકેલી દેનારા પરીબળો પોતાનો કે પોતાના પક્ષના વિજયનો ઉત્સવ ઉજવવા ઉપર જણાવી ગયા તે પ્રમાણે નિયમોના ધજાગરા કરે છે તેને રોકનારૂ કોઈ નથી કહેવાવાળુ કોઈ નથી આવી લાલીયાવાડી તો માત્ર ગુજરાતમાં જ ચાલી શકે કારણ કે પ્રાજ શાંત અને સહનશીલ છે અને શાસક પક્ષ એવું માને છે કે પ્રજા માટે અમારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પ્રજાની મજબૂરીનો લાભ ઉઠાવવા જેવો ધંધો છે તે તો કહેવું જ પડશે.
@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર