કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના બંદોબસ્તમાંથી ઘરે પરત ફરેલા ગાંધીનગર કરાઇ ટ્રેનિંગ સેન્ટરના પીઆઇનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. બુધવારે તેઓ ફરજ બજાવીને અમદાવાદ તેઓના ઘરે ગયા બાદ તેઓને હાર્ટ એટેકથી મોત થયું હતું.
કેવડિયા કોલોની ખાતે 31 ઓક્ટોબરના રોજ યોજાયેલા કાર્યક્રમને પગલે તા.30મી ઓક્ટોબરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. PI આર. કે. રાજપૂત પણ બંદોબસ્ત માટે આવી પહોંચ્યા હતા. અને કાર્યક્રમના સમાપન સુધી ખડેપગે ફરજ બજાવી હતી.
કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ અમદાવાદ તેઓના ઘરે જતા રહ્યા હતા. સાંજે ઘરે પહોંચેલા PI આર.કે. રાજપૂત બાથરૂમમાં ફ્રેશ થવા ગયા હતા. જ્યાં તેઓને બાથરૂમમાં જ છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. અને તેઓનું ગણતરીની મિનીટોમાં અવસાન થયું હતું. આ બનાવની જાણ વાયુવેગે પોલીસ તંત્રમાં પ્રસરી જતાં ઘેરાશોકની લાગણી પ્રસરી ગઇ હતી.