અમદાવાદ: ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક અઠવાડિયાથી પડી રહેલા અવિરત વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૪ માર્ગો બંધ કરાયા છે, ૧૮૦ ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જયારે વિવિધ ગામોમાંથી આશરે ૩૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
ગુજરાતમાં વરસી રહેલા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા રાજ્યના રાહત કમિશનર મનોજ આર. કોઠારીએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૨ જિલ્લાઓના ૨૦૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે જયારે એક માનવ મોત નોંધાયું છે.
આજની સ્થિતિએ રાજ્યમાં નેશનલ, સ્ટેટ અને પંચાયત હસ્તકના મળીને કુલ ૧૮૪ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે. જયારે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે રાજ્યના ૧૮૦ જેટલા ગામોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદ બંધ થાય અને પાણી ઓસરતા થયા પછી જ વીજ પુરવઠાને ચાલુ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગર જળબંબાકાર
છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ૨૪ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧૦૦ મિલીમીટર એટલે કે ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ૪૨ તાલુકા એવા છે કે જેમાં ૫૧ થી ૧૦૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના અન્ય તાલુકાઓમાં ૨૬ મિલીમીટર એટલે કે એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં આશરે ૪૦ ટકા વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20 ટીમ તહેનાત
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના લીધે રાહત અને બચાવની કામગીરી માટે હાલમાં એનડીઆરએફની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. જેમાંથી આઠ ટીમને સૌરાષ્ટ્રમાં તહેનાત કરવામાં આવી છે. આ આઠ ટીમમાંથી ચાર ટીમને ગીર-સોમનાથ જિલ્લામાં તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં એક એક ટીમ તહેનાત કરવામાં આવી છે. જયારે રાજ્યના દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, વાપી અને સુરતમાં એક-એક ટીમ તહેનાત કરવામાં આવેલી છે, જયારે ચાર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહિસાગર, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લા ખાતે એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે. જયારે મધ્ય ગુજરાતના વડોદરામાં ત્રણ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રાજ્યમાં પાંચ ડેમ ભરાયા
રાજ્યના રાહત કમિશનર એમ. આર. કોઠારીના જણાવ્યા મુજબ રાજ્યના કુલ ૨૦૩ મોટા ડેમમાંથી પાંચ ડેમ સંપૂર્ણપણે છલકાય ગયા છે. જ્યારે છ ડેમ ૯૧ થી ૯૯ ટકા સુધી ભરાઈ ગયા છે. જ્યારે ચાર ડેમ ૮૧ થી ૯૦ ટકા સુધી ભરાઈ ગયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.