રાજુલા: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી Whatsapp દ્વારા બાળકોને ઉઠાવી જતી ગેંગ ઉતરી આવી હોવાના ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મામલે રાજુલા પોલીસ દ્વારા Whatsapp ગ્રૂપના એડમીન સામે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી Whatsapp દ્વારા બાળકોને ઉઠાવી જતી ગેંગ ઉતરી આવી હોવાના મેસેજ થઈ રહ્યા છે. આ અંગે તમામ શહેર અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ખુદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આવા મેસેજને એક અફવા ગણાવી હતી. એટલું જ નહીં, આવા મેસેજ વાયરલ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
ગૃહમંત્રી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓના આ આદેશ અને ચેતવણીનો સૌ પ્રથમ અમલ અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ મથક દ્વારા અમલ કરવામાં આવ્યો છે. જેમાં રાજુલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરે ખુદ ફરિયાદી બનીને બાળકોને ઉઠાવી જવાની ગેંગ અંગે અફવા ફેલાવનાર વોટ્સએપ ગ્રૂપના એડમીન સામે તેના મોબાઈલ નંબરના આધારે ફરિયાદ નોંધી છે. એટલું જ નહીં, આ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજુલા પોલીસ મથકના પીઆઈ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ બાળકોના અપહરણ કરવા માટે મોટી ગેંગ ઉતરી આવી છે. આવા મેસેજ કોઈએ વાયરલ કરવા નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં રાજુલામાં સરદાર સમાચાર એસ.એસ. ન્યૂઝ ઇન્ડિયા નામના વોટ્સએપ ગ્રૂપના એડમીન દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. જેના કારણે તેની સામે જાહેરનામાંનો ભંગ અને શાંતિ ડહોળવા તેમજ લોકોમાં ભયની લાગણી ફેલાવવા જેવી બાબતોને અનુલક્ષીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજુલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.