બનાસકાંઠા,
બનાસકાંઠાના થરાદના મડાલ ગામે અકસ્માત સર્જાયો હતો. ખેતરમાં ટ્રેકટર વડે ખેડ કરતાં અચાનક ટ્રેકટર પલટાતા ખેડૂત ચાલકનું મોત હતું.ખેડૂતના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મડાલ ગામમાં ખેડૂત શંકરાજી ધર્માજી માળી ગુરુવારે બપોરના સુમારે પોતાના GJ08BB 1741 નંબરના ટ્રેક્ટર વડે ખેતરમાં ખેડ કરતા હતા. દરમિયાન વળાંકમાં ટ્રેક્ટરનું ટાયર ઢાળીયા ઉપર અચાનક ચડી જતા ટ્રેકટર પલટી ખાઈ ગયું હતું. આથી ખેડુત શંકરાજી ટ્રેક્ટર નીચે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું સ્થળ પર જ કરુણ અને કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવને પગલે થરાદ પોલીસને જાણ કરી લાશને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં લાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મૃતકના પુત્ર સોનાજીએ થરાદ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટનાથી પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી