વડોદરા,
તાજેતરમાં જ રિલીઝ થયેલી બોલીવુડની ફિલ્મ “‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”ના શીર્ષકમાં ઉપયોગ કરાયેલા ઠગ્સ શબ્દ બાદ જાણે રાજ્યમાં પણ છેતરપિંડી કરી કૌભાંડ આચરનારા ઠગ્સોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
સૌપ્રથમ રાજ્યના મેટ્રો સિટી કહેવાતા અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં વિનય શાહ અને તેઓની પત્ની ભાર્ગવી શાહે ૨૬૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. આ મામલે હાલ પોલીસ તંત્ર દ્વારા તપાસ કરાઈ રહી છે, ત્યારે આ વચ્ચે સંસ્કારી નગરી વડોદરામાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.
“ઠગ્સ ઓફ વડોદરા”ના આરોપીઓ પણ બંટી બબલી
“ઠગ્સ ઓફ અમદાવાદ” બાદ સામે આવેલા “ઠગ્સ ઓફ વડોદરા”માં રિઅલ્ટી એન્ડ ફાઇનાન્સનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે, જ્યાં પણ કૌભાંડનાં મુખ્ય આરોપી બંટી બબલી જ છે.
હિન્દુસ્તાન વેપાર નેટવર્કનાં મસમોટાં કૌભાંડમાં મુખ્ય કૌભાંડી અજીત ખેતડીયા અને દક્ષા ખેતડીયા દ્વારા રાજ્યનાં એક લાખથી વધારે લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે.
છેતરપિંડી કરી આચરવામાં આવ્યું ૧૦૦ કરોડ રૂ.થી વધુનું કૌભાંડ
માનવામાં આવી રહ્યું છે કે, આ કૌભાંડીઓ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરીને અંદાજે ૧૦૦ કરોડ રૂ.થી વધુનું કૌભાંડ આચર્યું છે.
મળતી માહિતી મુજબ, HVN ફાઇનાન્સ હેડ ઓફીસનાં રિજનલ મેનેજર અશોક પાલની ધરપકડ કરવામાં આવી છે, જયારે મુખ્ય કૌભાંડીઓ હાલ ફરાર થઇ ગયા છે.
લોકોને અપાતું હતું આકર્ષક વળતરનું પ્રલોભન
આ કૌભાંડના મુખ્ય બંટી અને બબલી એવા અજીત ખેતડીયા અને દક્ષા ખેતડીયા દ્વારા લોકોને ફિક્સ ડિપોઝીટ અને રિકરિંગ પર આકર્ષક વળતરનું પ્રલોભન આપવામાં આવતું હતું.
આ કૌભાંડીઓ દ્વારા એચવીએન ફાયનાન્સની વડોદરામાં હેડ ઓફિસ ખોલવામાં આવી હતી, ખાસ કરીને તેઓ દ્વારા વડોદરા, દાહોદ, ગોધરા, જસદણની જનતાને ટાર્ગેટ બનાવવામાં આવી હતી અને એક લાખથી વધારે લોકો સાથે છેતરપીંડી કરાઈ છે.
જો કે હાલમાં આ કૌભાંડ મામલે વડોદરા સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોધવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં આચરવામાં આવ્યું ૨૬૦ કરોડ રૂપિયાનું કૌભાંડ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત થલતેજના પ્રેસીડેન્ટ હાઉસમાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન નામની ઓફિસ ખોલવામાં આવી હતી. આ કૌભાંડીઓ દ્વારા લોકોને એક કા ડબલ કરવાની સ્કીમમાં ભેળવીને ૨૬૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
જો કે ત્યારબાદ આ કૌભાંડીઓ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફ્રોડ અંગે ફરિયાદ નોધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.