અમદાવાદ: અમદાવાદ શહેરના નેહરુનગર વિસ્તારમાં ચાલુ કારમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ રવિવારે ક્રાઈમ બ્રાંચના એડિશનલ પોલીસ કમિશનર જે. કે. ભટ્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપો બાદ પોલીસ કમિશનર (CP) દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. આ સાથે આ કેસની તપાસમાં વધુ એક મહિલા ડિસીપી (ઝોન-4)નો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
આમદાવાદ શહેરના સેટેલાઈટ પોલીસ મથક હેઠળના નેહરુનગર વિસ્તારમાં ચાલુ કારે ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાએ રવિવારે ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર જે. કે. ભટ્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં તેણીએ પોલીસની કામગીરીને શંકાના પરિઘમાં લાવી દીધી હતી.
પીડિતાના આ આક્ષેપો અંગે શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે, મારી તપાસ એજન્સીના વડા સામે થયેલા આક્ષેપોને હું શહેર પોલીસની સામેના એક પડકાર સ્વરૂપે જોઈ રહ્યો છું. ક્રાઈમ બ્રાંચ એ અમદાવાદ પોલીસનો એક ભાગ છે અને તેની સામે આક્ષેપો એ મારી પર આક્ષેપો સમાન છે. મને મારી ટીમ પર વિશ્વાસ છે અને અમારી ટીમ જરૂર સત્ય બહાર લાવશે.
સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં પીડિતાની લાગણીને અમે સમજી શકીએ છીએ. પીડિતાને અન્યાય ન થાય અને તેનો પોલીસમાં વિશ્વાસ પુન: સ્થાપિત થાય તે માટેની અમે કામગીરી કરી રહ્યા છીએ.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પીડિતાની પૂછપરછ કરનારી ટીમમાં અગાઉથી જ એક મહિલા અધિકારી પણ હતા. પીડિતાના નિવેદનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવેલી છે. અમે પીડિતાના વિશ્વાસને પુન: પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ, તેથી અમારા દ્વારા આ કેસની તપાસ ટીમમાં વધુ એક મહિલા અધિકારી તરીકે ડીસીપી (ઝોન-4) નો સમાવેશ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર એ.કે.સિંધે જણાવ્યું હતું કે, પીડિતાની ફરિયાદમાં ત્રણ વ્યકિતઓના નામ છે, જેમાંથી બેની સમન્સના આધારે પૂછપરછ કરવામાં આવી છે. જો કે આરોપીઓ અને ફરિયાદીના નિવેદનની વચ્ચે વિરોધાભાસ જણાઈ રહ્યા છે તેથી આ મામલે વૈજ્ઞાનિક પૃથ્થકરણ તેમજ અન્ય સાંયોગિક પુરાવાઓ મેળવવાની કામગીરી ચાલી રહી છે.