અમદાવાદ,
માતા પિતા સંતાનોની જીદ પુરી ના કરે ત્યારે રિસાયેલા બાળકો છેલ્લા પગલાં ભરી બેસતા હોય છે. અમદાવાદમાં 15 વર્ષનો એક કિશોર એટલે ફરાર થઈ ગયો કેમ કે તેના પિતાએ તેને બાઈક અને સ્માર્ટ ફોન નહોતા અપાવ્યા.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા ન્યૂ અંબિકાનગરમાં રહેતો જય કુમાર મૌર્ય નામનો 15 વર્ષનો બાળક ઘરેથી ફરાર થયો છે. જય કુમારે તેના પિતા પાસે સ્માર્ટફોન અને બાઇકની માંગણી કરી હતી જે અંગે ના પાડતા તે ઘરેથી ફરાર થયો.
આ અંગે જયકુમારના પાલક પિતા મુન્નીલાલ મૌર્યએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક ખાનગી કંપનીમાં નોકરી કરતો મુન્નીલાલે ફરિયાદમાં જણાવ્યું કે, “તેમણે તેના નાના ભાઇ કૈલાશ મૌર્યના પુત્ર જય કુમારને દત્તક લીધો છે અને આ અંગે તેમણે નોંધણી પણ કરાવી છે”.
પોલીસના જણાવ્યા પ્રમાણે, “થોડા દિવસ પહેલા દસમાં ધોરણમાં અભ્યાસ કરતા જય કુમારે તેના પાલક પિતા પાસે સ્માર્ટફોન અને બાઇક લઇ આપવાની માંગણી કરી હતી. જે અંગે મુન્નીલાલે ઇનકાર કરતાં કહ્યું હતું કે, તે ધોરણ 12 પાસ કરશે તે બાદ તેને બંને વસ્તુઓ અપાવશે. આ સાથે તેમણે જય કુમારને હાલ ભણવા પર ધ્યાન આપવા પણ કહ્યું હતું.
જો કે મુન્નીલાલે તેને ના પાડી તે જ દિવસે જય કુમાર મિત્રને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો જે બાદ પરત ફર્યો નથી. જે બાદ પરિવારે જય કુમારની શોધખોળ હાથ ધરી હતી જો કે ન મળી આવતા મુન્નીલાલે અમને જાણ કરી. અમે જયકુમારની શોધખોળ માટે ક્રાઇમ બ્રાંચ અને ટીમની પણ મદદ લીધી છે”.