અમદાવાદઃ સાહિત્યકાર લલિતકુમાર અને ચંદ્રકાંત બક્ષીના લઘુબંધુ એવા સાહિત્યકાર બકુલભાઈ બક્ષીનું આજે 77 વર્ષીય ઉંમરે કાર્ડિયાક એટેક આવવાના કારણે અમદાવાદ ખાતે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર સાથે ગુજરાતી સાહિત્યજગતમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
સાહિત્યકાર પરિવારના સભ્ય એવા બકુલભાઈ બક્ષીનો જન્મ 1941માં કોલકાતા ખાતે હતો. તેઓ સાહિત્યકાર લલિતકુમાર બક્ષી તથા ચંદ્રકાંત બક્ષીના લઘુબંધુ હતા. તેઓ બી.કોમ અને આઈએએસની પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં જોડાયા હતા.
તેઓ ગુજરાતી સમુદાયના એકમાત્ર સભ્ય હતા, જેમણે કસ્ટમ્સ કલેકટરની મહત્વપૂર્ણ પદવી મેળવી હતી. વર્ષ 2003માં મુંબઈના ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સ તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ નિવૃત્તિ બાદ લેખન-વાંચનમાં ખૂબ વ્યસ્ત રહેતા. વિવિધ સમારંભોમાં ટાઇમ મેનેજમેન્ટ અને મોટિવેશનલ વિશે પ્રવચનો આપવા જતા હતા.
તેમના લેખો ઘણાં વર્ષોથી ગુજરાત તેમ જ મુંબઈનાં કેટલાંક ગુજરાતી અખબારોમાં પ્રકાશિત થતા છે. તેમણે ૧૬૦ કરતાં વધુ ગુજરાતી પુસ્તક લખ્યાં હતાં, જેમાં શબ્દોની વિરાસત, સોનોગ્રાફી, પ્રતિબંધ, કલ્ચર ફંડા, ઓટોગ્રાફ, માર્કેટ ફંડા, અંજુમન, ભાષા પશ્ચિમની-શબ્દો પૂર્વના, મજલિસ, તસવીર, 1857, કાંરવા, પડાવ, સરગમ, રાજ દરબાર, સંસ્કાર ગાથા, અનેક રંગ, અવસર, બા-અદબ, રાગ અતીત, અસ્મિતાનો ચહેરો, મોનાલીસા વગેરે જેવા અનેક ગુજરાતી પુસ્તકો લખ્યાં હતાં.
તેઓ બહુ ઓછા શબ્દોમાં મોટી વાત કહેવાની કળામાં માહેર હતા. તેઓ ઓછા બોલા અને મિલનસાર તેમ જ સરળ સ્વભાવના હતા. એટલું જ નહી તેઓ ચીવટતા અને નિયમિતતાના ગુણ પણ ધરાવતા હતા.