અમદાવાદ
અમદાવાદમાં 2003માં થયેલી મહિલાની હત્યાનો ભેદ 15 વર્ષ પછી ઉકેલાયો છે.અમદાવાદમાં તે સમયે એકદમ ચકચારભર્યા સજની હત્યા કેસમાં પોલિસે તેના હત્યારા પતિ તરૂણ જીનરાજની ધરપકડ કરી છે.14મી ફેબ્રુઆરી, 2003ના રોજ એટલે કે વેલેન્ટાઇનના દિવસે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે તરુણકુમાર જીનરાજ નામના વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. બાદમાં તે ફરાર થઈ ગયો હતો.
સજનીની હત્યા કર્યા પછી તરૂણે તેના ઘરમાં લુંટ અને ચોરીની ખોટી સ્ટોરી ઉભી કરીને પોલિસને ગેરમાર્ગે દોરી હતી. હત્યા બાદ તરુણ દાવો કર્યો હતો કે બોપલ ખાતે આવેલા તેના ફ્લેટમાં ધાડપાડુઓ ત્રાટક્યા હતા જેમણે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. તરુણ દાવો કર્યો હતો કે ધાડપાડુઓે તેની પત્નીની હત્યા કરીને રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.
તરૂણની 26 વર્ષની પત્નિ સજની આઇસીઆઇસીઆઇ બેંકમાં એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતી હતી.સજનીની હત્યા પછી પોલિસે સઘન તપાસ શરૂ કરી હતી અને તરૂણના પરિવારજનોની આકરી પુછપરછ પછી એવું સામે આવ્યું હતું કે આ હત્યા તરૂણે જ કરી છે. પોલીસે તરુણના ભાઈ અરુણ કુમાર તેમની પત્ની રૂરકાંતા, તેમના માતાપિતા અને મિત્રોનો લાઇ-ડિટેક્ટિવ ટેસ્ટ પણ કર્યો હતો.
જો કે પોલિસ તરૂણ સુધી પહોંચે તે પહેલા તે ફરાર થઇ ગયો હતો.પત્નીની હત્યા બાદ તરુણ બેંગલુરુ ખાતે ઓળખ છૂપાવીને એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતો હતો. તરુણ અહીં પ્રવીણ ભટેલી નામથી રહેતો હતો. તરુણ ઓરેકલની ઓફિસમાં સિનિયર મેનેજર તરીકે કામ કરતો હતો.
તરુણને શોધવા માટે ગુજરાત પોલીસે અનેક રાજ્યની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પોલીસને એવી ટીપ મળી હતી કે તે બેંગલુરુમાં નામ બદલીને રહી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે તરુણના એક સંબંધીનો ફોન દેખરેખ હેઠળ મૂક્યો હતો. આ દરમિયાન તરુણ તેને ફોન કરતા પોલીસને તે બેંગલુરુમાં હોવાની લીંક મળી હતી. મળતી માહિતી પ્રમાણે તરુણે બીજા લગ્ન કરી લીધા છે અને તેને બે બાળકો પણ છે. તરુણ છેલ્લા છ વર્ષથી ઓરેકલ સાથે કામ કરી રહ્યો છે.
પોલિસે સજનીની હત્યા કરવાના મામલે તરૂણ જીનરાજની ધરપકડ કરીને તેને કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો.