અમદાવાદ,
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં રૂ. 1 લાખથી વધુની વીજ ચોરી કરવાના કેસમાં કોર્ટે વીજચોરી કરનાર આરોપી દયારામ દાતણીયાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. એટલું જ નહિ એડિ.સેશન્સ જજ ડી.પી. મહિડાએ આરોપીને રૂ. 3.5 લાખનો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો છે.
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં શંકર ભુવનમાં રહેતા દયારામ દાતણીયા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દયારામે વીજ બિલ ભરવું ના પડે તે માટે પોતાના ઘરની પાછળના ભાગમાં આવેલા ઇલેક્ટ્રિક કંપનીના વીજ કનેક્શનમાંથી વીજ ચોરી કરતો હતો. છેલ્લા અઢી વર્ષથી તેણે ગેરકાયદેસર વીજ ચોરી કરીને વીજ કંપનીને રૂ. એક લાખનો ચૂનો લગાવ્યો હતો.
દયારામ દાતણીયા વીજ ચોરી કરતો હોવાની માહિતી વીજ કંપનીને મળી હતી. આ બાતમીના આધારે વીજ કંપનીના અધિકારીઓએ વર્ષ 2013માં દયારામના ઘરે દરોડો પાડીને વીજ ચોરી પકડી પાડી હતી. આ અંગે આરોપી સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં વીજ ચોરીનો કેસ દાખલ પણ કરવામાં આવ્યો હતો. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દ્વારા વિવિધ દસ્તાવેજી પુરાવા અને સાત સાક્ષીને તપાસીને આરોપી સામે ઇલેક્ટ્રિક સિટી સ્પે એક્ટ 135 (1) મુજબ આરોપ પુરવાર કર્યો હતો.
સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, આરોપીનું કૃત્ય જોતાં તેની સામે દયા દાખવવી ના જોઇએ અને આરોપીને સખત સજા કરવી જોઇએ.