બોડકદેવ વિસ્તારના પ્રેમચંદનગર રોડ પર આવેલા સાકેત બંગલોઝમાં રહેતા ગુજરાત હાઇકોર્ટના વકીલના ઘરમાંથી રોકડા રૂ. 90 હજારની ચોરી થઇ હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગુમ થયેલી ચાવીથી અથવા ડુપ્લીકેટ ચાવીથી ઘર ખોલી તસ્કરે આરામથી ચોરી કરી હતી.
બોડકદેવ વિસ્તારના પ્રેમચંદનગર રોડ પર આવેલા સાકેત બંગલોઝમાં રહેતા અર્પિતભાઈ સંઘવી ગુજરાત હાઇકોર્ટમાં વકીલ છે. તેમના મોટાભાઈ ઇસરોમાં ફરજ બજાવે છે.
ગઈ કાલે સવારે અર્પિતભાઈ અને તેમના ભાઈ ઘર બંધ કરી ઓફિસે ગયા હતા. સાંજે અર્પિતભાઈના ભાઈ ઘરે આવ્યા ત્યારે ઘરમાંથી ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ઘરના કબાટમાં રહેલા રોકડ રૂ. 90 હજાર કોઈ ચોરી કરી ફરાર થઇ ગયું હતું. ઘરનો મુખ્ય અને અંદરનો દરવાજો કોઈ ચાવીથી ખોલેલો જણાયો હતો.
કોઈ અજાણી વ્યક્તિએ ગુમ થયેલી ચાવીથી અથવા ડુપ્લીકેટ ચાવીથી ઘર ખોલી રૂ. 90 હજારની ચોરી કરતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.