અમદાવાદ,
અમદાવાદ શહેરના શાહીબાગ ઓવરબ્રીજ નીચેથી સોમવારે મધરાત્રે અસ્થિર મગજની મહિલાની ક્રુર રીતે હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. આશરે 35 વર્ષની મહિલાના માથાના ભાગે બોથડ પદાર્થના આડેધડ ફટકા મારીને હત્યા કરાઈ હોવાના પુરાવા મળી આવ્યા હતા.
પોલીસે તપાસ કરતાં આ મહિલા પોલીસ કમિશનર કચેરી સામે આવેલા રબારી વાસમાં રહેતી સંગીતા દંતાણી હોવાનું ખુલ્યું હતું. આ મહિલા પતિ સાથે છુટાછેડા થયા બાદ તેના પિતા સાથે રહેતી હતી. લગ્ન બાદ તે માનસિક અસ્થિરતાનો ભોગ બની હતી.
જેના કારણે તેના પતિએ તેને છુટાછેડા આપ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થથી ફટકા મારીને તેની હત્યા કરી હતી. હાલ તો માધુપુરા પોલીસે આ અંગે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.