અમદાવાદ: અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડવાની સાથોસાથ ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ શહેરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાની સાથે જ અમદાવાદ શહેરમાં ભૂવારાજ શરુ થઈ ગયું હતું. વરસાદ પડતાની સાથે શહેરના બહેરામપુરા વિસ્તારમાં પણ ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. આ ભૂવામાં એક બાઈક સવાર ખાબક્યો હતો.
અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં ખોડીયારનગર ચાર રસ્તા મોટો મસ ભૂવો પડ્યો હતો. આ મોટા ભૂવામાં એક બાઇક ચાલક બાઈક સાથે ખાબક્યો હતો. જો કે આસપાસના લોકો સમય દોડી આવ્યા હતા. જેના કારણે ભૂવામાં પડેલા બાઇક ચાલકને તાત્કાલિક મદદ કરીને બહાર કાઢીને બચાવી લીધો હતો, જ્યારે તેની બાઇક ભૂવામાં ગરક થઇ ગઇ હતી.
જયારે બીજી તરફ બહેરામપુરા વિસ્તારમાં જ BRTS રોડ પર 100 મીટરના અંતરે ચાર ભૂવા પડ્યા હતા. જેના કારણે આ બીઆરટીએસના રસ્તા પરના રુટને સામાન્ય રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આ રસ્તા પર ભૂવો પડવાના અનેક બનાવો સામે આવ્યા હતા અને એએમસીના તંત્ર દ્વારા તેનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે ફરી વખત બીઆરટીએસના રસ્તા પર ભૂવા પડતા તંત્ર દ્વારા કેવું સમારકામ થયું હશે? તે બાબત ઉડીને સામે આવી ગઈ છે.
અમદાવાદ શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનમાં 65 ભૂવા પડ્યા હતા, જયારે છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરમાં 450 જેટલા ભૂવાઓ પડવાની ઘટનાઓ સામે આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન ભીની માટી હોવાથી પ્રેસર વધે છે અને ડ્રેનેજ લાઈનમાં ઝેરી ગેસ ઉત્પન થતો હોય છે જેના કારણે આ ભૂવા પડે છે. આ દરમિયાન ગટરની મેન હોલની ચડતરની ઈંટોને પણ મોટું નુકસાન થાય છે.