ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં વેપારી પરિવાર રાતોરાત ગુમ થઇ જતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. પરિવારજનોએ સગાં-સંબંધીઓ અને મિત્રોના ત્યાં તપાસ કરી, પરંતુ મળી ન આવતાં આખરે માણસા પોલીસ સ્ટેશનમાં પરિવાર ગુમ થયા બાબતે જાણવાજોગ દાખલ કરી છે.
ભૂતકાળમાં મોટો સાડીનો શો-રૂમ ધરાવનાર અને માણસાના હનુમાનપુરામાં રહેતા અશોકભાઈ જોષી તેમજ તેમનાં પત્ની, પુત્ર, પુત્રવધૂ તથા 3 વર્ષની પૌત્રી સાથેનો પરિવાર ગત તારીખ 19 સપ્ટેમ્બરની રાત્રે કોઈને કંઈ પણ કહ્યા સિવાય અચાનક ગાયબ થઇ ગયા હતા. બીજા દિવસે સવારે તેમના ભાઈને જાણ થતાં તેઓ એકદમ હેબતાઈ ગયા હતા.
તમામ લોકોના મોબાઈલ બંધ આવતાં કંઈક કારણ હોવાનું લાગ્યું હતું અને તેઓએ તુરત તમામ સગાં-સંબંધીઓના ત્યાં રૂબરૂ અને ટેલિફોનથી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સપ્તાહ સુધી સમગ્ર પરિવારની કોઈ ભાળ નહીં મળતાં આખરે તેમણે માણસા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
માણસાના પોલીસમાં જાણવાજોગ નોંધ થયા બાદ પોલીસે પણ આ પરિવાર હાલ ક્યાં છે તે અંગેની ભાળ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.