અમદાવાદ: અમદાવાદ શહેરના પાંચ હજાર જેટલા વેપારીઓને ફટકારવામાં આવેલી GST ની નોટિસો બાદ વેપારીઓમાં નારાજગી ફેલાઈ હતી. વેપારીઓની આ નારાજગીના પગલે તંત્ર દ્વારા આ નોટિસો અંગેની કાર્યવાહીને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
રિટર્નમાં તફાવતના મુદ્દે નોટિસો આપી હતી
કાપડ બજાર, ઓટોમોબાઇલ બજાર તથા મોબાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા ભરાતા રિટર્નમાં મોટો તફાવત હોવાનું બહાર આવ્યું હતું અને તેમના દ્વારા મોટા પ્રમાણમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવતી હોવાની વિગતો કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના ધ્યાન પર આવી હતી. જેના કારણે તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
વેપારીઓમાં વ્યાપેલા રોષને કારણે લેવાયો આ નિર્ણય
જીએસટીઆર-3-બી અને જીએસટીઆર-1ના રિટર્નના તફાવતને લઇને શહેરના વેપારીઓને ગત મે મહિનામાં નોટિસો ફટકારવામાં આવી હતી. જો કે કોમર્શિયલ ટેક્સ વિભાગની આ નોટિસોના પગલે વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જેથી ડિપાર્ટમેન્ટ દ્વારા હાલના સંજોગોમાં આ તફાવત પરની નોટિસો પરની કાર્યવાહી કરવાનું હાલ પૂરતું મોકૂફ રાખવું પડ્યું છે.
જીએસટીઆર-1 રિટર્નમાં ઇન્વોઇસ સહિતનાં વેચાણની વિગતો આપવાની હોય છે તો બીજી બાજુ વેપારીએ જીએસટીઆર-3-બી રિટર્નમાં ખરીદ-વેચાણના સમરી રિટર્નની વિગતો ભરવાની થતી હોય છે, પરંતુ આ બંને રિટર્નમાં તફાવત હોવાનું ડિપાર્ટમેન્ટના ધ્યાને આવ્યું છે અને તેના પગલે ડિપાર્ટમેન્ટ દ્વારા એક અંદાજ મુજબ પાંચ હજારથી વધુ વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ બંને રિટર્ન વચ્ચે તફાવતની રકમ રૂ. 500 કરોડથી પણ વધુ થવા જાય છે. ભારે વિરોધ વચ્ચે હાલ આ કાર્યવાહી અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.