અમદાવાદ: ગિરમાં વિવિધ બીમારીથી ૨૩ સિંહોનાં મૃત્યુ સંદર્ભે CM વિજય રૂપાણીએ રવિવારે જૂનાગઢ જિલ્લાના બિલખામાં પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે, ગિર અને આસપાસના વિસ્તારમાં વસતા સિંહમાં બીમારી અંગે ઉચ્ચકક્ષાના નિષ્ણાતોની મદદથી સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સિંહના લોહીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે, તેમાં તમામ રિપોર્ટ નેગેટિવ હોવાથી ચિંતાનો કોઇ વિષય નથી.
ગિરમાં પરીસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે, ચિંતાનો કોઇ વિષય નથી
CM એ વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં સિંહની બીમારી અંગે ઝડપથી નિદાન અને સારવાર પ્રક્રિયા થાય તે માટે તમામ સ્તરના વ્યવસ્થાપનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સિંહ સલામત છે અને તેનું અન્ય કોઈ સ્થળે સ્થળાંતર કરવામાં નહીં આવે.
સિંહની બીમારીના સર્વેક્ષણ અંગે ઉચ્ચત્તમ કાર્યવાહી કરી રહી છે રાજ્ય સરકાર
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સિંહના રક્ષણ માટે કટિબદ્ધ છે. સિંહની ચિંતા કરીને તાબડતોબ અમેરિકાથી વેક્સિન પણ મંગાવવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ, તબીબો અને ભારત સરકારના સંકલનમાં રહીને તમામ સ્તરની કામગીરી થઇ રહી છે. ગીરમાં સિંહના સ્વાસ્થ્યને લઇને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય કે ગુજરાત જ નહિ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવા એશિયાટિક સિંહ ફક્ત ગુજરાતમાં જોવા મળે છે. જેના કારણે ગિરના સિંહોનું અનોખું મહત્વ છે. આ સંજોગોમાં ગિરના જંગલમાં એક મહિના જેવા ટૂંકા સમયગાળામાં ૨૩ જેટલા સિંહોના મોત નીપજવાની ઘટના બની છે. જેના કારણે ગુજરાત સરકાર જ નહિ કેન્દ્ર સરકાર પણ હચમચી ઉઠી છે. આ ઘટનાના પગલે ગુજરાત સરકાર દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.